ઝી બ્યુરો/વડોદરા: કાળઝાળ ગરમીથી સૌ કોઈ પરેશાન છે, આકરો ઉનાળો સૌ કોઈને દઝાવી રહ્યો છે, ભીષણ ગરમીમાં સૌથી વધારે જરૂરિયાત પાણીને પડતી હોય છે. પરંતુ પાટણમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. છેલ્લા 15 દિવસથી લોકો પાણી વગર તરસ્યા છે, બીજી તરફ એક મહાનગરમાં પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને કેવો વહીવટ કરે છે તેની સાક્ષ આ બન્ને ઘટના છે. અધિકારીઓ પ્રજાના પૈસાથી મોટો પગાર લે છે પરંતુ કામ કેવું કરે છે તે અહીં જોઈ શકાય છે. પહેલા દ્રશ્યો પાટણના છે જ્યાં રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે છેલ્લા 15 દિવસથી સ્થાનિકો પાણી વગર તરસે મરી રહ્યા છે. પાણી વગર લોકો રઝળી રહ્યા છે. જ્યારે બીજા દ્રશ્યો વડોદરાના કારેલીબાગ વિસ્તારના છે. જ્યાં પાણીની ટાંકી પાસે વાલ્વ છેલ્લા એક સપ્તાહથી લીકેજ છે. જેના કારણે લાખો લીટર પાણી રોડ અને ડ્રેનેજમાં વહી રહ્યું છે. મહામુલા પાણીનો બેફામ બગાડ નઘરોળ તંત્રને કારણે થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિકો આક્રોશિત થયા છે. 


આકરા ઉનાળામાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર અહીં એવું કામ કરે છે કે દર મહિને આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે. તંત્ર નબળું કામ કરે છે. બીજી તરફ આ મામલે જ્યારે ટાંકીના ઓપરેટરને પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે, ખુબ જલદી લીકેજ વાલ્વને રિપેર કરી લેવાશે. વડોદરામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જ્યારે પાટણમાં પાણી વગર લોકો તરસે મરી રહ્યા છે. વડોદરામાં પાણીનો વાલ્વ લીકેજ થવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. જ્યારે પાટણમાં પાઈપ લાઈન તુટી જતાં 15 દિવસથી લોકોને પાણી મળતું નથી .


  • પાટણમાં પાણીનો પોકાર, વડોદરામાં વેડફાટ

  • પાટણમાં 15 દિવસથી પાણીનો છે પોકાર 

  • વડોદરામાં ઘણા દિવસોથી પાણીનો વેડફાટ 

  • નઘરોળ તંત્રના પાપે પ્રજા છે પરેશાન

  • પાટણમાં પાણી વગર લોકો હેરાન પરેશાન

  • વડોદરામાં વાલ્વ લીકેજ થતાં પાણીનો બગાડ 


પાણી વગર ગરમીમાં કેવી તકલીફ પડે તે સમજી શકાય છે. 15 દિવસ થયાં છતાં પણ તંત્ર કોઈ પગલાં ભરતું નથી. તંત્રના કોઈ અધિકારી કેમેરા સમક્ષ આવી આશ્વાસન આપવા માટે પણ તૈયાર નથી. અમારા સંવાદદાતાએ જિલ્લાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી, ગામના તલાટી સહિત તમામનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈએ કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો. જેના પરથી જ સમજી શકાય છે કે ગુજરાતમાં અધિકારીઓને માત્ર એસીની ઠંડી હવા જ ખાવી છે. પ્રજાનું જે થવું હોય તે થાય તેમને તો માત્ર પ્રજાના પૈસાથી માત્ર મહિને પગાર જ ગણવો છે. 


ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે તે ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે. વડોદરામાં પાણીનો વેડફાટ અને પાટણમાં પાણીનો પોકાર. આ બન્ને ઘટના પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં પ્રજા રામ ભરોષે છે અને અધિકારીઓ પોતાની મોજમસ્તી જ કરી રહ્યા છે. આશા રાખીએ કે હાલ ચૂંટણી ચાલી રહી છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરીને પ્રજાને સાચો ન્યાય અપાવવાનો પ્રયાસ કરસે. નહીં તો પછી પ્રજા 7 મેએ જે મતદાન છે તેમાં વ્યાજ સહિત હિસાબ ચુક્તે કરશે.