• અમદાવાદની ચૂંટણીમાં કિન્નર રાજુ માતાજીએ પણ ઉમેદવારી નોંધાવી જીતનો દાવો કર્યો

  • આ પહેલાં પણ તેઓ ત્રણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે

  • જ્યાં સુધી જીતશે નહીં ત્યાં સુધી ચૂંટણી લડતા રહેવાનો નિર્ધાર કર્યો 


અમિત રાજપૂત/અમદાવાદ :અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં અપક્ષ થર્ડ જેન્ડર ઉમેદવાર રાજુ માતાજી ચર્ચામાં આવ્યા છે. આ ઉમેદવાર રાજુ માતાજીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેઓનું ચૂંટણી ચિહ્ન બંગડી છે. રાજુ માતાજી ચૂંટણી ચિહ્ન બંગડીને હાથમાં લઈને પ્રચાર કરી રહ્યા છે. તો રાજુ માતાજીની સાથે તેમના અન્ય થર્ડ જેન્ડર ટેકેદારો પણ પ્રચાર મેદાનમાં ઉતર્યાં છે. પોતાના વોર્ડમાં નાગરિકોને રિઝવવા રાજુ માતાજીએ રોડ-શો પણ કર્યો હતો. તો સાથે જ જીત્યા બાદ નાગરિકોની પ્રાથમિક સમસ્યાઓ નિરાકરણ અને શૌચાલયની સુવિધા કરી આપવાનો વાયદો કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજુ માતાજીએ પહેલીવાર ચૂંટણીના જંગમા ઉતર્યા છે એવુ નથી. આ પહેલા પણ તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ચૂક્યા છે. પણ તેઓને હજી સુધી જીત મળી નથી. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને 1706 મત મળ્યા હતા, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં 2,303 અને લોકસભા ચૂંટણીમાં 2,571 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં પણ જંગી મત મળશે અને જીત મેળવશે તેવી તેમને આશા છે. જ્યાં સુધી જીત નહિ મળે ત્યાં તેઓ સતત ચૂંટણી લડતા રહેશે તેવું તેમનુ કહેવું છે. 


આ પણ વાંચો : ‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો



રાજુ માતાજીએ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી કરી છે. તેમણે કહ્યું કે, મેં બંગડીનું નિશાન એટલે પસંદ કર્યું કે, લોકોની મનોવૈજ્ઞાનિક બુધ્ધિ એવુ વિચારે છે કે આ બંગડીવાળા શું કરી શકે. પણ હું તેમની આ માનસિકતા બદલવા માંગું છું. ભાજપવાળા એકવાર વોટ લઈને જાય, પછી દેખાતા નથી. અમે ધક્કા ખાતા રહીએ છીએ. હું ગરીબોના કલ્યાણ માટે મેદાનમાં ઉતરી છું. હું જીતીશ તો આ વોર્ડ માટે ઘણુંબધું કરી શકીશ.



સાથે જ તેમણે પોતાના મતદારોને કહ્યું કે, એક વોટ મને આપો, હું એકલી છું એટલે દરેક જગ્યાએ પહોંચી નથી વળી. તેથી તેમણે મતદારોને પોતાને વોટ આપવા અપીલ કરી છે.