મુસ્તાક દલ/જામનગર :આજે જામનગરના ધ્રોલમાં આવેલા ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે. રાજપૂત સમાજની દીકરીઓએ આ દિવસ માટે જોરશોરથી તૈયારી કરી છે. જામનગર પોલીસ વિભાગની પ્રખ્યાત રાસ મંડળીના અનુભવી પોલીસ કર્મચારીઓએ રાજપૂત સમાજની 2 હજાર દીકરીઓને તલવાર રાસની ખાસ તાલીમ આપી છે. અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ આયોજિત આ કાર્યક્રમમાં યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારે જામનગરમાં ઈતિહાસમાં રાજપૂતો માટે આજનો દિવસ કેમ મહત્વનો છે તે પણ જાણી લેવું પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઈતિહાસમાં નોંધાયેલ આ ઐતિહાસિક વીરગાથા મુજબ ઈ.સ. 1591માં એટલે કે 428 વર્ષ પહેલા ભૂચર મોરીનું યુદ્ધ મોગલોથી બચીને ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફ્ફરને જામનગરે આશરો આપ્યો હતો તેના કારણે મોગલો સાથે લડાયું હતું. આઠમના દિવસે ધ્રોલ પાસે ભૂચર નામના રાજપૂતનું ધણ ભરવાડો ચારતા હતા. ત્યાં ભૂચર મોરીનું યુદ્ધ ખેલાયું હતું. ગુજરાતના સૂબા મીરઝા અઝીઝ કોકાએ જામનગર ઉપર આક્રમણ કર્યું હતું. ત્યારે જામસાહેબ સતાજીનું સૈન્ય દગાબાજીનો ભોગ બન્યું. 



પાટવીકુંવરના મસ્તકને ખોળામાં લઈ સૂર્યકુંવારી બા સતી થયા હતા
લડાઈ એવી કટોકટીએ પહોંચી કે, હાથે મીંઢોળ બાંધેલું હોવા છતાં પાટવીકુંમાર અજાજી જાનૈયાઓ સાથે લડવા નીકળ્યા હતા. લડતાં લડતાં તેમના ઘોડાએ મીરઝા અઝીઝ કોકાના હાથી ઉપર તરાપ મારી. યુદ્ધમાં ઘેરાઈ જતાં રાજકુંવર વીરગતિ પામ્યા. જે બાદ નવોઢા રાણી ભૂચર મોરીના મેદાનમાં સતી થયાં હતાં. પાટવીકુંવર અજાજીના મસ્તકને ખોળામાં લઈને નવોઢા રાણી સૂર્યકુંવારીબા સતી થયાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ છે. ત્યારથી લઈને આજ સુધી જાડેજા કુટુંબે સતીની દેરીનું પૂજન કરે છે. 


જામનગર તાલુકાના તમાચણ અને ગોલીટા ગામ નજીક ઉંડ નદીના કાંઠે આ રણસંગ્રામ રચાયો હતો. જેમાં પણ જામ સતાજીની સેનાનો વિજય થયો હતો. તમાચણ ગામે આજે પણ વીર પુરુષોના પાળીયા મોજૂદ છે. જેની યાદમાં આજે 11 વાગ્યે ભૂચર મોરીના મેદાનમાં આ તલવાર રાસ રમાશે અને શહીદોને વીરાંજલિ આપવામાં આવશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :