જય પટેલ/વલસાડ : ગુજરાતમાં આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેઓ આજે વલસાડના ધરમપુરમાં જનઆક્રોશ રેલીને સંબોધન કરશે. ધરમપુરમાં બપોરના સમયે કોંગ્રેસની જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રેલીમાં ભાગ લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદી-પિતાના પગલે રાહુલ ગાંધી...
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતના વલસાડ જિલ્લાને ચુંટણી પ્રચારની શરૂઆત માટે પસંદ કર્યું છે. વલસાડની ભૂમિ એમ પણ રાજકારણ માટે નવી નથી. અને તેમાં પણ કોંગ્રેસ માટે તો નહિ જ, કારણ કે રાહુલ ગાંધીના દાદી સ્વ. ઇન્દિરા ગાંધી હોય કે પછી પિતા સ્વ. રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધીએ પણ વલસાડની ભૂમિથી ચુંટણી પ્રચાર શરુ કર્યો હતો. બસ આજ રસ્તે હવે રાહુલ ગાંધી પણ આગળ વધી રહ્યા છે.


વલસાડ સાથે જોડાયેલી એક મહત્વની વાત એ છે કે, જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ લોકસભાની બેઠક જીતે છે તે પાર્ટી કેન્દ્રમાં સત્તા બનાવે છે. ચાહે તે વી પી સિંહની સરકાર હોય કે અટલ બિહાર વાજપેયી, મનમોહનસિંહ કે પછી નરેન્દ્ર મોદીની સરકાર. આમ અત્યાર સુધીનો આ રેકોર્ડ ક્યારેય તુટ્યો નથી. વલસાડના ઉમરગામથી આદિવાસી પટ્ટો શરુ થઇ છેક અંબાજી સુધી જાય છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં આદિવાસીઓના વોટ ગુમાવનાર કોંગ્રેસ ફરીથી આ મત કબજે કરવા પણ વલસાડની ધરતીનો ઉપયોગ કરી શકે છે.


વલસાડ સભાનો કોંગ્રેસ સાથે જૂનો નાતો 
મોરારજી દેસાઈની સત્તા હતી, ત્યારે ઇન્દિરા ગાંધી માટે ફરીથી ઉભા થવું અઘરું હતું, તે સમયે લડાઈની શરૂઆત ક્યાંથી કરવી તે સૌથી મોટો સવાલ ઇન્દિરા ગાંધી માટે હતો, એવા સમયે વલસાડ ખાતે ઇન્દિરા ગાંધીની સભા યોજાઈ હતી. આ સભામાં ઐતિહાસિક કહી શકાય એટલી સંખ્યામાં લોકો ઇન્દિરા ગાંધીને જોવા અને સાંભળવા આવ્યા હતા. બસ તે દિવસ બાદ ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસે પાછળ ફરીને જોયું ન હતું. આ સભા બાદ થયેલી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો હતો. અને ઇન્દિરા ગાંધી ફરી દેશના વડપ્રધાન બન્યા હતા. આવી જ રીતે રાજીવ ગાંધી પણ લાલ ડુંગરે ખાતે સભામાં હાજર રહ્યા હતા. તો સોનિયા ગાંધીએ પણ અહીં લાખોની જનમેદનીને સંબોધી હતી. આમ કોંગ્રેસનો જુનો નાતો વલસાડ સાથે જોડાયેલો છે. અને ખુદ કોંગ્રસ પણ માને છે કે, વલસાડથી કરાયેલી શરૂઆત તેમને સત્તા સુધી પહોંચાડે છે.