બ્રિજેશ દોશી, અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર અને ભાજપમાં સરકારને લઈને કેટલીય ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાને કડવી દવા જેવા ગણાવ્યા અને આ દવાથી જ બીમારી દૂર થશે તેવી ટકોર કરી હતી. તેમણે કહ્યું કે સત્ય હંમેશા કડવું હોય છે અને હું સત્ય બોલું છું એટલે કડવો લાગુ છું. પક્ષમાં પણ લોકોને કડવો લાગ્યો પણ એ લોકો જાણે છે દિલથી કોમળ છું એટલે બધા સમજે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં લવકુશ પાટીદાર સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી રૂપાણી હાજરીમાં આ ટકોર કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સમાજમાં કડવા અને લેઉવા પટેલ વચ્ચે કોઈ ભેદ નથી પણ ક્યાંથી આ ભેદભાવ ઉભો થયો એ ખબર નથી. સમાજ પહેલે થી એક જ હતો તેમ છતાં રાજકીય કે કોઈ અન્ય કારણોસર ભાગ પડ્યા જે યોગ્ય નથી. પોતે કડવા પાટીદાર છે અને સાથે જ લોકોને કડવા લાગે છે એવી હળવી ટકોર કરી હતી. તેમણે કહ્યું કે કડવી દવાથી જ બીમારી દૂર થાય અને હું સત્ય બોલું એટલે કડવો લાગુ છું. 


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આવ્યું. તેમણે કહ્યું કે પક્ષમાં પણ ઘણી જગ્યાએ હું સાચું કહું છું ત્યારે લોકોને કડવું લાગે છે પણ વિજયભાઈ રૂપાણી, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જીતુ વઘાણી ને ખબર છે કે હું બોલવામાં કડવો હોઇશ પણ દિલ કોમળ છે. નાયબ મુખ્યમંત્રી ની આ ટકોર એવા સમયે આવી જ્યારે ગણતરીના કલાકો પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરી જેમાં નાયબ મુખ્યમંત્રી પણ હાજર હતા.


વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ નાયબ મુખ્યમંત્રી બન્યા પણ તેમને નાણા વિભાગ ન મળતા નીતિન પટેલ નારાજ થયા હતા અને પક્ષમાં રજુઆત પણ કરી હતી. રિસમણા-મનામણા બાદ તેમને નાણાં વિભાગ આપવામાં આવ્યું અને ત્યારબાદ પણ સરકારના અનેક એવા નિર્ણયો રહ્યા કે જેમાં નાયબ મુખ્યમંત્રી એ સરકાર માટે સંકટ મોચકની ભૂમિકા ભજવી અને હંમેશા લોકોના મુદ્દા કહ્યા. ત્યારે આજની તેમની આ ટકોર નવી રાજકીય ચર્ચાને જન્મ આપશે તે નિશ્ચિત છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube