રક્ષિત પંડ્યા/રાજકોટ: ત્રણ જેટલા મુદ્દા સાથે આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં ઉપલેટાના અમૃત ગજેરાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ઉપલેટાના અમૃત ગજેરાએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરીને ચીમકી ઉચ્ચારી છે કે તેઓ આજે રાજકોટ ખાતેના મુખ્યપ્રધાન રૂપાણીના ઘરની સામે આત્મવિલોપન કરશે. અમૃત ગજેરા હાર્દિક પટેલના સમર્થનમાં અને સરકારના વિરોધમાં આત્મવિલોપન કરશે.


રાજ્યમાં ઠેર-ઠેર હાર્દિકને સમર્થન 
હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામતની માંગ સાથે ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે તેના સમર્થનમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તેની તબિયતને લઇને રામધૂન કરવામાં આવી રહી છે. જ્યારે પાટણમાં રવિવારે હાર્દિકના સમર્થનમાં સદભાવના રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો સહિત, કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યો પણ જોડાયા હતા. જ્યારે ઉપલેટાના અમૃત ગજેરાએ સોશિયલ મીડિયા દ્વારા વિડિયો અપલોડ કરીને સી.એમના નિવાસ સ્થાન બહાર આત્મવિલોપનની ચીમકી આપી હતી.