અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના વડગામમાં આવેલું કર્માવદ તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતોએ જળ આંદોલન છેડ્યું છે. જળઆંદોલનને લઈને આજે વડગામ અને પાલનપુરના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો એકઠા થઈ પાલનપુરમાં મહારેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તળાવમાં પાણી નાખવાની રજુઆત કરી છે.  ચીમકી ઉચ્ચારી છે કે જો પાણી નહિ નંખાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના વડગામ અને પાલનપુર પંથકમાં ભૂગર્ભ જળ ઉંડા ગયા છે જેને લઈને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કાફોડી બની છે. જેને લઈને વડગામ અને પાલનપુરના ખેડૂતોએ અનેકવાર કરમાવત તળાવ ભરવાની માંગો કરી હતી પરંતુ તેમની માંગ ન સ્વીકારતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠતાં વડગામ અને પાલનપુરના 125 ગામોના ખેડૂતોએ આજે પાલનપુરના આદર્શ સંકુલમાં એકઠા થઇ સભા યોજી હતી. ત્યાર બાદ આદર્શ સંકુલ ખાતેથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ મહારેલી યોજી હતી. જેમાં 20 હજારથી વધુ ખેડૂતો, પશુપાલકો અને લોકો જોડાયા હતા. ખેડૂતો હાથમાં પાણી આપવા સહિતના વિવિધ બેનરો લઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈને કલેક્ટરને કરમાવત તળાવ ભરવાની રજુઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું. ચીમકી ઉચ્ચારી હતી કે જો ટૂંક સમયમાં તેમની માંગ નહિ સ્વીકારાય તો આગામી સમયમાં તેવો ઉગ્ર આંદોલન કરશે.


આ પણ વાંચોઃ અમદાવાદના સોલા વિસ્તારમાં છ વર્ષના બાળકનું અપહરણ, પાડોશી જ નિકળ્યો આરોપી


જોકે ખેડુતો દ્વારા આજ તો ફક્ત પુરુષ ખેડુતો હજારોની સંખ્યામાં ઉમટી મહારેલી યોજી જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. તો જિલ્લા કલેક્ટરે પણ રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ઈરીગેશન વિભાગ સહિતના વિભાગોને સાથે લઈ સર્વે હાથ ધરવાની બાહેંધરી આપી છે. ત્યારે ખેડુતો દ્વારા જો આગામી દિવસોમાં કર્માવદ તળાવમાં પાણી નહીં ભરાય તો આજે જે પ્રમાણે પુરૂષ ખેડૂતોની રેલી યોજાઈ તે પ્રમાણે આગામી દિવસોમાં મહિલા ખેડુતોને પણ સાથે લઈ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી રેલી યોજાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube