હાર્દિક દીક્ષિત/વડોદરા : રાજ્ય સરકાર દ્વારા ભલે નાગરિકોને દિવસના કરફ્યુમાંથી મુક્તિ આપી હોય પરંતુ શહેરના નિઝામપુરા વિસ્તારની એક સોસાયટીના લોકો આજે પણ કરફ્યુની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. વડોદરા શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસના કારણે નાગરિકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. શહેરના નિઝામપૂરા વિસ્તારમાં કુતરાઓનોએ હદે ત્રાસ વધી ગયો છે કે, હવે આ કુતરાઓ નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિઝામપૂરા વિસ્તારમાં આવેલી બેઠલ પાર્ક સોસાયટીમાં આશરે 100 થી વધુ મકાન આવેલા છે. જ્યાં અસંખ્ય નાના બાળકો વસવાટ કરે છે. હાલ રખડતા કુતરાઓ ના કારણે નાના બાળકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. 100 મકાનની આ સોસાયટીમાં માણસોનું નહીં પણ કુતરાઓનું રાજ ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 


આશરે 15 થી વધુ કુતરાઓએ નાના બાળકો સહિત રહીશોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ કરી દીધુ છે. આજે આજ સોસાયટીમાં રહેતા કેટલાક નાના બાળકો રમી રહ્યા હતા દરમિયાન એક કૂતરાએ અચાનક બાળકો પર હુમલો કરી દીધો. જેના કારણે છ વર્ષની નાની બાળકીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે.


મહત્વનું છે કે, નિઝામપુરા વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કુતરાઓનો ત્રાસ યથાવત છે. ભૂતકાળમાં પણ અનેક વાર આ કુતરાઓ સોસાયટીના નાના બાળકોને પોતાનો શિકાર બનાવી ચુક્યા છે. જે તે સમયે અનેક વાર પાલિકામાં રજુઆત છતાં કોઈ નિકાલ ન આવતા વિસ્તારના લોકો હાલ દહેશતના માહોલમાં જીવવા મજબુર બન્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube