હાર્દિક દિક્ષીત/વડોદરા :શહેર નજીક નેશનલ હાઇવે 48 ઉપર મોડી રાત્રે ઉભેલી ટ્રક અને પસાર થઈ રહેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પસાર થઈ રહેલી ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કેબિનમાં બેઠેલ ક્લિનરનુ માથું ધડથી અલગ થઇ ગયું હતું. ફાયર બ્રિગેડે દ્વારા કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. નોધનીય છે કે, અકસ્માત ઝોન તરીકે ઓળખાતી દેણા ચોકડીની રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ મુલાકાત લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રક બગડતા ડ્રાઈવરે એક સાઈડ પાર્ક કરી હતી
મળેલી માહિતી પ્રમાણે સુરત સચિન જીઆઈડીસીમાં આવેલ અનુપમા કંપનીમાંથી નૂર મહંમદ કુરેશી (રહે.યુ.પી.) અને ક્લીનર ફરહાન (રહે. યુ.પી) ટ્રકમાં માલસામાન ભરીને બિહાર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નજીક નેશનલ હાઇવે 48 ઉપર દેણા ચોકડી પાસે ટ્રક બગડતા રોડની સાઇડ પર પાર્ક કરી દીધી હતી.


આ પણ વાંચો : સુરતની ગલીઓમાં ફરતા તમિલનાડુના ચોરોની ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને મગજ ચકરાઈ જશે 


ક્લિનિરનું માથુ અને ધડ અલગ થઈ ગયા
દરમિયાન પસાર થઈ રહેલી હરિયાણાની ટ્રક બિહાર જતી ઊભેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી. જેમાં હરિયાણાની ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કચ્ચરઘાણ વધી ગયેલ કેબિનમાં સવાર ટ્રક ક્લીનર ફસાઈ ગયો હતો. અને તેનું માથું ધડથી અલગ થઇ ગયું હતું.  આ અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો દોડી આવ્યા હતા. અને કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માત સર્જાતા ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હતો.


આ પણ વાંચો : પેપર લીકના 24 કલાકમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ‘સાહેબે’ કરી પાર્ટી, ને વિદ્યાર્થીઓ ફરી પરીક્ષાની મહેનતમાં લાગ્યા


કલાકો સુધી હાઈવે પર ટ્રાફિક જામ
દરમિયાન આ બનાવની જાણ હરણી પોલીસને થતા તુરત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મોતને ભેટેલા 50 વર્ષિય પ્રતાપસિંહ મોહનસિંહ ધરાડી (રહે. કુડ પૌધર ગામ, ઉત્તરાખંડનો) હોવાનું બહાર આવ્યું હતું. હરણી  પોલીસે આ બનાવ અંગે બિહાર જતી ટ્રકના ચાલક નૂરમહમદ કુરેશીની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા હરીયાણાની ટ્રકના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો.


નોંધનીય બાબત એ છે કે અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી પાસે બે દિવસ પહેલા જ રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ સ્થળ સ્થિતિની મુલાકાત લીધી હતી અને અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવવાની વાત કરી હતી. તેમના  નિવેદનના 72 કલાકમાં જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.