• વડોદરાના બે તબીબોની હૃદયસ્પર્શી ફરજ નિષ્ઠા...દિવંગત માતાના અંતિમ સંસ્કાર પૂરા કરી બંને તબીબો ફરી પાછા કોવિડ ડ્યુટીમાં જોડાઈ ગયા


ઝી મીડિયા/બ્યૂરો :માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મ દાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની પ્રેરક કથા સામે આવી છે. કોવિડ માટેની ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ગઇકાલે રાત્રે સયાજી હોસ્પિટલમાં યોજેલી સમીક્ષા બેઠકમાં આ બંને ઘટનાઓ જાણીને, સંબંધિત તબીબોની સમર્પિતતા અને સેવા નિષ્ઠાને ઉજ્જવળ ઉદાહરણ સમાન ગણાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત એમ બની કે સયાજી હોસ્પિટલના પી.એસ.એમ.વિભાગમાં કાર્યરત અને છેલ્લા લગભગ સવા વર્ષથી કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્યરત ડો.રાહુલ પરમારના માતાનું તાજેતરમાં અવસાન થયું. વડોદરા ખાતે ફરજ બજાવતા આ તબીબના માતા ગાંધીનગર ખાતે રહેતા હતા. આ ખબર મળતા ભારે હૃદયે તેઓ ગાંધીનગર ગયા. માતાના અંતિમ સંસ્કારની ફરજ પુત્રવત પૂરી કરી અને વહેલી સવારે પાછા વડોદરા આવી ફરજ પર જોડાઈ ગયા. માતાનું અવસાન હૃદય દ્રાવક ઘટના છે. પરંતુ આ ભારે ખોટ તેમની ફરજ નિષ્ઠાને વિચલિત ન કરી શકી. કદાચ તેમણે એવું માન્યું હશે કે આ કટોકટીના સમયે કોવિડ સેવાથી વધુ શ્રેષ્ઠ કોઈ શ્રધ્ધાંજલિ ન હોય શકે.


હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ સાવધાન, જલ્દી જ ગુજરાતમાં આવશે નવા નિયમો 


 યાદ રહે કે આ તબીબના ફાળે ખૂબ જ અઘરી ગણી શકાય એવી કોવિડ ફરજ આવેલી છે. એમણે સારવાર દરમિયાન મૃત્યુના પ્રસંગે મૃતક દર્દીના સ્વજનોને આ સમાચાર આપવાની અને તમામ વિધિઓ પૂર્ણ કરાવી મૃતદેહ સોંપવાની ખૂબ કપરી ફરજો અદા કરવાની હોય છે. કોવિડની આ ફરજો દરમિયાન તેઓ જાતે ગત ડિસેમ્બરમાં કોવિડગ્રસ્ત થયાં હતાં અને સાજા થઈને પાછા ફરજોમાં જોડાઈ ગયાં હતાં.


એવું જ સયાજી હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી કરતાં એસોસિયેટ પ્રોફેસર ડો.શિલ્પા પટેલ સાથે બન્યું.  વહેલી પરોઢના ત્રણ વાગ્યે તેમણે પણ પોતાની વ્હાલી માતા ગુમાવી. તેઓ ગમગીન હૃદયે અંતિમ સંસ્કારમાં જોડાયા અને માત્ર 6 કલાક પછી સવારે 9 વાગ્યા પાછા પૂર્વવત કોવિડ ડ્યુટીમાં લાગી ગયાં.


ગુજરાતના એક આખા જિલ્લાએ જાહેર કર્યું 7 દિવસનું લોકડાઉન, ચકલું ય ફરકી નહિ શકે તેવું આયોજન


આ તબીબોએ આજીવન અંગત ખોટને જાણે કે દર્દી સેવાથી સરભર કરવાનો માર્ગ પસંદ કર્યો છે.  ડો.વિનોદ રાવે જણાવ્યું કે આ લોકોએ સમર્પિતતા અને સેવા નિષ્ઠાના બેજોડ દાખલા બેસાડ્યા છે. આ બંને કોરોના યોદ્ધાઓ ને હું દિલથી સલામ કરું છું.  આ સમય ખૂબ કપરો છે.પોતાના પરિવાર અને સંબંધોને ભૂલીને તબીબો અને આરોગ્ય સેવકો કોરોનાની ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે તેમની આ ફરજ પરસ્તીને સમાજ યોગ્ય રીતે મૂલવે એ અનિવાર્ય છે.