હાર્દિક દિક્ષીત/વડોદરા: આજે રામનવમી નિમિત્તે વડોદરામાં ફરી વાર પથ્થરમારોની ઘટના સામે આવી છે. રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફરી પથ્થરમારો થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ફતેહપુરાના કુંભારવાડાથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં કેટલાંક તોફાની તત્વોએ પથ્થરમારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કેટલાંક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયેરગેસના સેલ પણ છોડ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા ભરૂચ અને ખેડાથી વધુ પોલીસ કાફલો બોલાવાયો છે. જાણવા મળી રહ્યું છે કે આશરે 350 પોલીસ કર્મચારીઓનો કાફલો વડોદરામાં બોલાવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાની બબાલમાં કાંચની બોટલો વાળી પેટ્રોલ બોમ્બ પણ ફેંકાયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાને કારણે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ફતેહપુરા ચારરસ્તા પાસે આ પથ્થરમારો થયો છે. વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એલર્ટ બન્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે લાલઆંખ કરી છે. આજે રાત્રે 12 વાગ્યા પહેલા તોફાની તત્વોને પકડી પાડવા સૂચના આપી દીધી છે, જ્યારે કમિશનરે પણ શાંતિ જાળવવા અપીલ કરી છે.


રાજ્યના તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ત્રિનેત્ર પહોંચ્યા છે. રા્જયના પોલીસ વડા પણ ઉપસ્થિત છે. હાલ સીસીટીવી ફુટેજની તપાસ થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાની કોશિશ કરી છે. લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકાથી રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ફતેપુરા વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થતી જોવા મળી રહી છે.



બપોરે પણ થયો હતો પથ્થરમારો
આજે દેશભરમાં રામનવમીની ઉજવણી જોરશોરમાં ચાલુ છે. ત્યારે વડોદરામાં રામનવમીના અવસરે મોટી બબાલ જોવા મળી છે. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ કહવાય છે. માહોલ હાલ તંગ છે. આ જૂથ અથડામણમાં ભગવાનની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો  છે. અત્રે જણાવવાનું કે રામ નવમી નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા નીકળી ત્યારે તેના પર પથ્થરમારો થતા આ જૂથ અથડામણ સર્જાઈ.



મળતી માહિતી મુજબ આજે રામનવમીના તહેવાર નિમિતે ફતેહપુરા ગરનાળા પાસે આ ઘટના ઘટી. ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થવા માંડી. મૂર્તિને ખંડિત કરવાની કોશિશ કરાઈ પણ મૂર્તિ બચાવી લેવાઈ. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ 1500 લોકોનું ટોળું ત્યાં આવી ચડ્યું હતું. પોલીસે વાતાવરણ તંગ બનતા લાઠીચાર્જ કરવો પડ્યો. 



હાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે છે અને વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ હતો કે શોભાયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો નહતો જેને લઈને પોલીસ દ્વારા કહેવાયું કે દરેક શોભાયાત્રા સાથે પોલીસની અલગથી ટીમ રાખવામાં આવી છે. હરણીથી આ શોભાયાત્રા નીકળી હતી અને ત્યાંથી અહીં (ફતેપુરા) પોલીસ સાથે જ છે. જ્યાં જ્યાં શોભાયાત્રા નીકળે છે ત્યાં લોકલ પોલીસની ટીમ પણ સાથે રહેતી હોય છે. એસઆરપી પણ હોય છે. પુરતો બંદોબસ્ત છે એનો કોઈ ઈશ્યુ નથી.