આશ્કા જાની/અમદાવાદ :આજે વેલેન્ટાઈન ડે (valentine day) છે. જે પ્રેમના દિવસ તરીખે ઓળખાય છે. આ જ દિવસે પ્રેમી પંખીડા લગ્ન ગ્રંથિ જોડાવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક કેટલાક કપલને સમાજ અને અન્ય બંધનો આડે આવતા હોય છે. આજે ઝી 24 કલાક એક એવા હનુમાનજીના મંદિરની મુલાકાત લઈએ, જે અમદાવાદમાં લગનીયા હનુમાન તરીકે ઓળખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવા પ્રેમી યુગલો અહીં હોંશે હોંશે આવે છે અને હનુમાનજીની સાક્ષીમાં સાતેય ભવના બંધનમાં બંધાઈ જાય છે. એ તો ઠીક પણ આ મંદિરમાં એવા ઘણા લોકોએ લગ્ન કર્યા છે જે લોકો સજાતીય સંબંધ ધરાવતા હોય છે. આ હનુમાનજી પ્રેમી ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. 



આ મંદિરમાં બાલબ્રહ્મચારી એવા હનુમાનની સાક્ષીમાં પ્રેમી યુગલ લગ્નગ્રંથિથી જોડાય છે. લગનીયા હનુમાનની સાક્ષીમાં અત્યાર સુધી 12 હજારથી વધુ પ્રેમી યુગલ લગ્ન કરી જોડાયા છે. મંદિરમાં પ્રવેશ કરતા જ તમને વેલકમ કરે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વેલેન્ટાઈન ડેની સાથે પ્રેમી યુગલનું અભિવાદન કરે એવા આ પોસ્ટર છે. 


ગુજરાતમાં આવેલ વિનાશકારી ભૂકંપ બાદથી આ મંદિર લગનીયાથી ઓળખાય છે. ભૂકંપ પછી તમામ કોર્ટ મેઘાણી નગર વિસ્તારમાં શિફ્ટ થઈ ગઈ હતી. ત્યારે વકીલોએ વિનંતી કરી કે, મંદિરમાં લગ્ન કરવાની પરમિશન આપવામાં આવે. ત્યારથી આ મંદિરમાં લગ્ન થવા લાગ્યા. આ મંદિરમાં હિન્દુ મુસ્લિમ લગ્ન પણ થાય છે.  અડધી રાત્રે પણ જાઓ તો પણ આ મંદિરના દરવાજા પ્રેમી યુગલો માટે ખુલ્લા હોય છે. આમ તો દર વેલેન્ટાઈન ડે પર આ મંદિરમાં લગભગ 150 થી વધુ લગ્ન થતા હોય છે, પણ આ વર્ષે મુહુર્ત ન હોવાથી બહુ ઓછા કપલ આવ્યા હતા. આ મંદિરમાં રજિસ્ટર્ડ મેરેજ કરવાની તમામ સુવિધા ઉપલબ્ધ છે. 



આ મંદિરની ખાસિયત એ છે કે, રાત હોય કે દિવસ ગમે ત્યારે પ્રેમી યુગલ મંદિરના દરવાજે આવે તો લગનીયા હનુમાન મંદિરના મહંત હીરાલાલ તેમને મદદ કરે છે. ગમે તેટલા વિરોધ વચ્ચે તેઓ પ્રેમી યુવલને મદદ કરી લગ્ન પણ કરાવે છે.



જોકે આજે વેલેન્ટાઈન ડેના દિવસે આ મંદિરમાં કોઈ યુવલ લગ્નથી જોડાયું નથી. કેમ કે ગુરુ અને શુક્રના ગ્રહનો ક્ષય છે. આજે કોઈ મુહૂર્ત નથી, માટે કોઈ આવ્યું નથી. પરંતુ આગામી દિવસો માટે પ્રેમી યુગલ ઈન્ક્વાયરી માટે આવે છે.