ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીંજાવુ ગમશે કે કેમ, એમ પુછી ને થાય નહિ પ્રેમ... આ કવિતાની પંક્તિઓની જેમ પ્રેમ એ કઈ પૂછીને નથી થતો એ તો બસ થઈ જાય છે. રીલ લાઈફમાં શાહરુખ અને પ્રિતી ઝિંટાની પ્રેમકહાની વાળી ફિલ્મમાં તમે વીર-ઝારાંને વર્ષો સુધી એક બીજાનો ઈંતેજાર કરતા જોયા હશે. પરંતુ રિયલ લાઈફની આવી જ એક અજબ પ્રેમની ગજબ કહાની આપણાં અમદાવાદમાં જીવી રહી છે. જેમને જોઈને એમ કહેવાનું મન થાયકે, સિર્ફ કરીબ રહે કર હી હર કોઈ પાસ નહીં હોતા, વો ખયાલોમેં ઈતને કરીબ રહે કે કભી ફાસલોં કા અહેસાસ હી નહીં હોતા...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


17 વર્ષ સુધી સાઈકલ લઈને વિશ્વ શાંતિ માટે દુનિયા ખુંદનારા તાહેર મદ્રાસવાલાને દુનિયાએ નવાજ્યાં. દુનિયાના 150થી વધુ અખબારો અને 3 ડઝનથી વધારે ન્યૂઝ ચેનલો પર તેમની કહાનીને દર્શાવવામાં આવી. પણ કરમની કઠીનાઈ કહો કે વિધિની વક્રતા તાહેર જ્યારે વિશ્વશાંતિના સંદેશા સાથે સાઈકલ પર દુનિયાભરના દેશોનો પ્રવાસ ખેડીને ભારતમાં એટલેકે, વતનમાં પરત ફર્યા ત્યારે દેશમાં તો શું ગુજરાત અરે પોતાના શહેર અમદાવાદમાં પણ કોઈ તેમનો ભાવ સુદ્ધાં પણ ન પૂછ્યો. એક સમયે આર્થિક સંકળામણના કારણે મળેલાં મેડલ પણ વેચવા કાઢ્યા હતા. હાલ સ્થિતિ સારી છે અને સુખી જીવન જીવે છે. ઉલ્લેખનીય છેકે, વર્લ્ડ ટૂર દરમિયાન તાહેર મદ્રાસવાલાને કેનેડા સહિત ઘણાં દેશોમાંથી ત્યાંની સિટિજન શીપ ઓફર કરવામાં આવી હતી. ત્યારે તાહેરે કહ્યું હતુંકે, તમે મને આપેલાં સન્માન બદલ તમારો આભાર...પણ હું હિન્દુસ્તાની છું...મારો મહાન ભારત દેશ મારા માટે સ્વર્ગ સમાન છે...જય હિંદ...


ભારત સિવાય દુનિયાભરના 35 દેશોએ લીધી નોંધ-
દરેક લવસ્ટોરીની જેમ આ કહાનીમાં પણ બે પાત્રો એકબીજાના પ્રેમમાં પડે છે અને જીવનભર એકબીજાના હમસફર બનવાનાં સપનાં સજાવે છે. પણ આ કહાનીમાં કઈક એવો વળાંક આવે છેકે, આ બે પ્રેમીઓ એકબીજાથી દૂર થઈ જાય છે. એક-બે નહીં પુરા 17 વર્ષ સુધી આ બે પ્રેમીઓને સહન કરવી પડે છે વિરહની વ્યથા.


અજબ પ્રેમની ગજબ કહાની...
જે એકબીજા વગર એક પળ પણ નહોંતા રહી શકતા વર્ષોના વિરહમાં સપડાઈ જાય છે. હંમેશા એકબીજાની સાથે રહેતા બે પ્રેમીઓ એકબીજાથી જોજનો દૂર થઈ જાય છે. પ્રેમીકા અહીં અમદાવાદમાં તો તેનો પ્રેમી સાતસમુંદર પાર...ત્યારે ન તો મોબાઈલ હતો કે ન કોઈપણ પ્રકારનું વીડિયો કોલિંગ...પણ બન્નેનો પ્રેમ મજબૂત હતો. એકબીજા પ્રત્યેનો અપાર પ્રેમ, અખુટ શ્રદ્ધા, લાગણી અને વિશ્વાસને કારણે દૂર રહીને પણ આ પ્રેમીઓ હંમેશા એકબીજાની પાસે રહેતા હતાં. અને આ રીતે એ બંન્નેનો સંબંધ પણ ટકી રહ્યો.


મેરી આન, મેરી શાન, મેરી જાન...હિન્દુસ્તાન...
આ કહાની છે અમદવાદના જમાલપુર વિસ્તારમાં રહેતાં તાહેર અને નિસરીનની. માત્ર 18 વર્ષની ઉંમરે તાહેરને દુનિયા ખુંદવાનું ઝનૂન ઉપડ્યું. તે હાથમાં તિરંગો, ખિસ્સામાં માત્ર 65 રૂપિયા, કોઈકે આપેલી સાઈકલ અને વિઝાની વ્યવસ્થા સાથે તાહેર તૂટી-ફૂટી અંગ્રેજી ભાષાના સહારે વિશ્વશાંતિનો ઝંડો લઈને સાઈકલ પર પૃથ્વીની પરિક્રમા માટે નીકળી પડ્યો. 


17 વર્ષ સુધી પોતાના પ્રેમને પામવાનો ઈંતેજાર...
18 વર્ષની ઉંમરે તાહેર ઘરેથી સાઈકલ લઈને દુનિયા ખુંદવા નીકળ્યો હતો અને જ્યારે તે 35 વર્ષનો થયો ત્યારે ઘરે પરત ફર્યો. 1981થી 1985 સુધી 4 વર્ષમાં ભારત ભ્રમણ કર્યા બાદ તાહેર નિસરીન સાથે સગાઈ કરી અને સાઈકલ લઈને દુનિયાની સફરે નીકળી પડ્યો. બસ પછી તો શું હતું,...કલાકો, દિવસો કે મહિનાઓ જ નહીં પણ વર્ષો સુધીનો ઈંતેજાર...


દુનિયામેં કિતની હૈ નફરતે, ફિરભી દિલોમેં હૈ ચાહતે...
આજના ચેટિંગ, સેટિંગ અને ડેટિંગના જમાનામાં કહેવાતા પ્રેમમાં કોઈને 17 મિનિટ પણ કોઈની રાહ જોવાનું પાલવતું નથી. ત્યારે અમારી પ્રેમકહાનીના આ પ્રેમી-પંખિડા કંઈક અલગ માટીથી બનેલાં છે. જેથી તેઓ એકબીજાની 17 વર્ષ સુધી રાહ જોતાં રહ્યાં. એ સમયે ફોનનું ચલણ પણ ખુબ ઓછું હતું. એટલે કયારેક ફોન અને પ્રેમપત્રો દ્વારા બંને પ્રેમીઓ એકબીજાના સંપર્કમાં રહેતાં. 


મિલે જો પ્યાર તો કદર કરના દોસ્તો, કિસ્મત હર કિસી પર મહેરબાન નહીં હોતી...
આજે તાહેર મદ્રાસવાસા અને નિસરીનના લગ્નને 3 દાયકા જેટલો સમય થઈ ગયો છે. પોતાના પ્રેમના પ્રતિકરૂપ તેમને એક દિકરો અને દિકરી એમ બે જુડવા બાળકો છે. આ પ્રેમકહાનીના પાત્રો તાહેર અને નિસરીન માટે તો હવે જીવનનો દરેક દિવસ વેલેન્ટાઈન ડે સમાન છે. પ્રેમીઓની આ કહાની જોઈને ફિલ્મનો એક ડાયલોગ યાદ આવી જાય છેકે, અગર કિસી કો દિલસો ચાહો તો પુરી કાયનાત તુમ્હેં ઉસસે મિલાને કી કોશિશમેં લગ જાતી હૈ...


ઈશ્ક કે ચિરાગો કા હર તરફ ઉજાલા હૈ, સચ્ચા પ્યાર મિલ ગયા જિસે વો કિસ્મત વાલા હૈ...
આ પ્રેમકહાનીના હીરો તાહેરનું કહેવું છેકે, હું અને નિસરીન 10 વર્ષના હતા ત્યારથી એકબીજાને ઓળખતાં હતાં. એક જ મહોલ્લામાં રહેતાં હોવાથી ધીરે-ધીરે અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો. દરેક પ્રેમ કહાનીની જેમ અમારી કહાનીમાં પણ ઉતાર ચઢાવ આવ્યાં. હું નસીબદાર છુંકે, મને નિસરીન જેવી જીવનસાથી મળી. જેણે જિંદગીના 17 વર્ષ સુધી મારી રાહ જોઈ. નિસરીનના પ્રેમના સહારે જ મેં સાઈકલ પર દુનિયાના 32 દેશો અને સવા લાખ કિલો મીટરની મુસાફરી કરી.


દુનિયા કરતા અનોખો પ્રેમ-
આ પ્રેમકહાનીની હીરોઈન નિસરીનનું કહેવું છેકે, અમારો પ્રેમ દુનિયા કરતા અનોખો છે. તેનો મને આનંદ છે. હું મારા પ્રેમીની રાહમાં વર્ષો સુધી આંખો બિછાવીને બેસી રહી. કારણકે, મને વિશ્વાસ હતોકે, અમારો પ્રેમ સફળ થશે. પ્રેમ વિશે તો મારે તો બસ એટલું જ કહેવું છેકે, પ્રેમએ માત્ર એક આકર્ષણ ન હોવું જોઈએ. પ્રેમએ માત્ર પામવાની વસ્તુ નથી પણ ખરાં અર્થમાં પ્રેમ એટલે ત્યાગ છે. તમે તમારા પ્રિય પાત્ર માટે બીજું બધું જ ત્વજી શકો છો.