જયેન્દ્ર ભોઈ/નર્મદા :ગુજરાતના આંગણે ફરી એકવાર ઐતિહાસિક ક્ષણ આવી છે. ડેમની ઉંચાઈ વધાર્યા બાદ પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. 26 જેટલા દરવાજા ખોલાતા અનોખુ દ્રશ્ય સર્જાયું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો ડેમનો આ નજારો માણવા માટે પહોંચી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈતિહાસમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની સપાટી 131 મીટર પાર કરાતા જ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો, અને આમ એક ઐતિહાસિક દ્રશ્ય હાલ ડેમ પાસે જોવા મળી રહ્યું છે. નર્મદા ડેમના દરવાજા નિહાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વહેલી સવારે સરદાર સરોવર ડેમ પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિથી નર્મદાના જળના વધામણાં કર્યા હતા.



મુખ્યમંત્રીએ આ નજારો નિહાળતા કહ્યું કે, આ વખતે 138 મીટરે ભરાશે તો સરદાર પટેલનું સપનુ પૂરુ થશે. પીએમ મોદીનું જે લક્ષ્ય હતું તેને સાર્થક કરી શકીશું. નરેન્દ્રભાઈનું સપનુ પૂરુ થયું છે. આગામી એક માસ સુધી આ પાણી બહુ જ ઉપયોગી બની રહેશે. આ વેળાએ ssnnlના ચેરમેન કૈલાસનાથન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. 



મોડી રાત્રે દોઢ વાગ્યે દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેથી અનોખુ દ્રશ્ય સર્જાયુ હતુ. આ દ્રશ્યને કેદ કરવા માટે અનેક લોકોએ મોબાઈલથી ફોટો અને વીડિયોઝ લીધા હતા. મોડી રાતની આ તસવીર તેનો પુરાવો છે.



નર્મદા ડેમના દરવાજા ખોલાતા હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડેમ તરફ આગળ વધી રહ્યાં છે. આ ઐતિહાસિક ક્ષણને માણવા માટે પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ડેમ પાસે આહલાદક દ્રશ્યો સર્જાયા છે. કારણ કે, લાંબા સમય બાદ લોકોને આવો નજારો માણવા મળી રહ્યો છે. વરસાદમાં ડેમમાં ભરાયેલું પાણી છેક કચ્છ સુધી પહોંચશે, જેથી ખેડૂતોમાં પણ આનંદ સમાતો નથી.