નીતિન ગોહેલ/ભાવનગર : ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના રોદડાં રોવાને બદલે કાંઇક સ્વાવલંબી પગલા લેવામાં આવે તો તેમને જ ફાયદો થઈ શકે છે. ત્યારે આ નિશ્ચય સાથે ભાવનગર જિલ્લાનાં ૩૦ ગામનાં ખેડૂતોએ શહેરમાં વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક શાકભાજી, અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બની રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે ખેડૂતપુત્ર ભરતભાઇ જાંબુચાએ જણાવ્યું કે, અમે માર્કેટિંગ યાર્ડમાં અમારા ખેતીનાં પાક વેચવા જતા હતા. ત્યારે વચેટીયાઓનાં કમિશન, મજૂરી અને અન્ય ખર્ચાઓ બાદ કરતા અને હિસાબ માંડીએ તો ખબર પડતી કે મહેનતનું યોગ્ય વળતર મળી રહ્યું નથી. અમે ૩૦ ગામનાં ખેડૂતોને ભેગા થયા અને તેઓની ખેત પેદાશ સીધી ભાવનગરમાં આવી વેચાણ કરવાનું નક્કી કર્યુ. શરૂઆતમાં ભાવનગરનાં વિજ્ઞાન નગરી પાસે અને બાદમાં અન્ય સ્થળે પાથરણા પાથરીને અમારી ખેત પેદાશ વેચી હતી. લોકો તરફથી ઓર્ગેનિક શાકભાજી, અનાજ અંગે સારો પ્રતિસાદ સાંપડતા અમે પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. ૩૦ ગામનાં ખેડૂતોનાં આ અભિયાનને જિલ્લાના અન્ય ગામોમાં પણ પ્રસરાવવાના પ્રયાસો કરવામાં આવનાર છે. વધુમાં આગામી દિવસોમાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ, માર્ગદર્શન અને કઇ રીતે વધુ પાક લઇ શકાય તેના વિશે માહિતગાર પણ કરવામાં આવશે. અમારો હેતુ ખેડૂતોને સારા ભાવ અને ગ્રાહકને સાત્વિક વસ્તુઓ મળે તેના માટેનો છે.


ગુજરાતમાં ખેતીમાં થઈ રહેલા નુકસાનને પહોંચી વળવા માટે ભાવનગર ખેડૂતોના એક વર્ગે નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેમના ઉત્પાદનની યોગ્ય કિંમત મેળવવા માટે અને ખેતી તેમના માટે નુકસાનનો ધંધો ના બને તે માટે ભાવનગરનાં ૩૦ ખેડૂતોનાં ગ્રુપે શાકભાજી, ફળો, અનાજ અને શરબત જેવા સામાન વેચવા માટે પોતાની દુકાન શરૂ કરી છે. દુકાન ‘ખેડૂતો માટે, ખેડૂતો દ્વારા’ની ટેગલાઈન સાથે લોકો માટે ખુલી ગઈ છે. દુકાન ખોલનાર મેનેજીંગ કમિટીના ભરત જાંબુચાએ જણાવ્યું કે, ભારતમાં ખેતી મુખ્ય વ્યવસાય હોવા છતાં ખેડૂતોને તેમના ઉત્પાદનની કિંમતોને નકકી કરવામાં મદદ નથી મળતી. લોકો ઝડપથી શહેરીકરણની તરફ આગળ વધવાની સાથે અન્ય વ્યવસાયોની તરફ જવા લાગ્યા છે. દેશમાં રોજ કોઈના કોઈ ખેડૂત આત્મહત્યા કરી રહ્યાં છે.


ભરત જમબુચાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી અમે કમિશન એજન્ટો ચેઈન તોડવાનું અને ગ્રાહકો સુધી પહોંચવાનું કામ કરીયે છીએ. લોકોને સારી ગુણવતા, કેમિકલ રહિત અને શુદ્ધ ખેતીની પેદાશો મળે તે માટે હવે અમે એક દુકાન બનાવી રહ્યાં છીએ.


જૈવિક ખેતી કરીએ છીએ
5૦ ખેડૂતોનું એક જૂથ જૈવિક ખેતી કરી રહ્યું છે. તે ભાવનગરમાં ગ્રાહકોને તેમના ઉત્પાદન જેવા કે શાકભાજી, ફળો, અનાજ, વગેરે વેચી રહ્યાં છે. જ્યાં તે પોતાનો ધંધો કરી શકે છે. અમે ભાવનગરમાં અમારા વિશેની જાગૃતતા ફેલાવવા માટે અભિયાન ચલાવ્યું. જેથી લોકો ખેત ઉત્પાદકની તેમની જરૂરીયાતને લઈને અમારી પાસે આવે. અમારી પાસે 40 થી 50 નિયમિત ગ્રાહકો જે સપ્તાહમાં બે વાર શાકભાજી અને અન્ય સામાન ખરીદે છે. તેથી જ લોકોના વિશ્વાસથી અમે દુકાનમાં રોકાણ કર્યું છે.