ઝી બ્યુરો/પંચમહાલ: યાત્રાધામ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ છે. અહીં માઈ ભક્તો માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો છે. જેમાં 10થી વધુ લોકો દટાયા છે અને એક મહિલાનું મોત થયું છે. પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં આ ગમખ્વાર દુર્ઘટના બની છે. એટલું જ નહીં, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાયેલા વાતાવરણ વચ્ચે બની દુર્ઘટના
માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પાવાગઢમાં બનેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા છે, જેમણે તાત્કાલિક સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકચર્ચા ચાલી રહી છે કે, પાવાગઢના માંચી ખાતે અચાનક બદલાયેલા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદ બાદ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે. 



વીજળી પડતા ઘટના બની હોવાની માહિતી
પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો.


ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા હતા. જો કે પથ્થરની નીચે દટાયેલા તમામ લોકોનું સ્થાનિકોએ  રેસ્ક્યૂ કર્યુ છે. આ ઘટનામાં એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, દટાયેલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.