રવિ અગ્રવાલ/વડોદરા: હંમેશાં પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેનાર વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિધાનસભાની ચૂંટણી પહેલા એક્શનમાં આવ્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે ઝી 24 કલાકે વિશેષ વાતચીત કરીને પોતાના મતવિસ્તારમાં કરેલા વિકાસના કાર્યો વિશે વિગતવાર ચર્ચા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વાઘોડિયામાં વિકાસના કામોમાં અમે કોઈ કમી રાખી નથી. વાઘોડિયા તાલુકાના અંદર ગામે ગામ નર્મદાનું પાણી પહોંચાડ્યું છે. વડોદરા તાલુકાના ગામડાઓમાં મહીસાગર નદીનું પાણી પણ પહોંચાડ્યું છે. પાણી વગર કોઈ જીવી શકતું નથી, પાણી હોય તો જ દેશ ચાલી શકે. 


તેમણે ઉમેર્યું હતું કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમારી પાર્ટીના માણસોએ સામે ઊભા રહી મને હરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં હું 11 હજાર મતે જીત્યો હતો. પરંતુ હું આ વખતે મારો 27000 મતથી જીતેલો રેકોર્ડ તોડી 50 હજાર મતથી જીતીશ. આ વખતે ભાજપનું સંગઠન મારી સાથે છે, તાલુકા જિલ્લા પંચાયત ભાજપની છે. 


મધુ શ્રીવાસ્તવે પોતાના મતવિસ્તારમાં થયેલા વિકાસના કામોની વાત કરતા જણાવ્યું હતું કે, વાઘોડિયા અને વડોદરા તાલુકામાં 40 હજાર દફતરો મેં સ્કૂલમાં બાળકોને આપ્યા છે. મારી દબંગ અને બાહુબલીની છબી મીડિયાએ બનાવી છે. પરંતુ હું તો બજરંગબલીનો પરમ ભક્ત છું. અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી, તો મારું કે બીજાનું શું રહેશે? ભાજપ મને પાકિસ્તાન લડવા મોકલશે તો હું પાકિસ્તાન પણ લડવા જઈશ. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાઘોડિયામાં ભાજપમાંથી મને જ ટિકિટ મળશે, હું જાણું છું, પાર્ટીના આકાઓ સાથે મારા ઘરેલુ સંબંધ છે. આમ આદમી પાર્ટીના ભાજપ સામે ચણા પણ નહિ આવે. વાઘોડિયા જ નહિ ગુજરાતની પ્રજાનું કોઈપણ અધિકારી કે ચમરબંધી કામ નહિ કરે તો હું ચૌદમુ રતન બતાવીશ. તેમણે ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે મારી સામેના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જશે.  


જુઓ આ પણ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube