અમદાવાદ: પત્રકારત્વ ક્ષેત્રની જાણિતી હસ્તીઓને આપવામાં આવતા આચાર્ય તુલસી સન્માન પુરસ્કાર આ વર્ષે 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે આપવામાં આવશે. આચાર્ય તુલસી સન્માન પુરસ્કાર આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચની પહેલ છે. વર્ષ 2022 માટે આ પુરસ્કાર જાણીતા પત્રકાર અને ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચના અધ્યક્ષ રાજકુમાર પુગલિયાએ કહ્યું કે ''ZEE 24 કલાકના એડિટર અને આ પહેલાં એક વરિષ્ઠ પત્રકારના રૂપમાં દીક્ષિત સોનીએ પત્રકારત્વ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે. તેમને આ સન્માન પુરસ્કાર પ્રદાન કરવો અમારા માટે સૌભાગ્યની વાત છે.''


માનવીય મૂલ્યોના મૂળ સિદ્ધાંતોનું જતન કરીને અને ગુણાત્મક માહિતી પ્રદાન કરીને પત્રકારત્વના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.


પુરસ્કાર મેળવનારને 1 લાખ રૂપિયા રોકડ, એક શાલ અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. અત્યાર સુધી 17 વર્ષોમાં દેશના વિભિન્ન વરિષ્ઠ પત્રકારોને આ સન્માન આપવામાં આવ્યું છે. 



આ પુરસ્કાર તેરાપંથ આચાર્ય શ્રી મહાશ્રમણજીની શુભ ઉપસ્થિતિમાં આપવામાં આવશે, જે હાલમાં તેમની ધવલ સેના સાથે અમદાવાદના પ્રવાસે છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પુરસ્કાર સવારે 11 વાગે આચાર્ય મહાશ્રમણ પ્રવચન સ્થળ ખાતે આપવામાં આવશે.


આચાર્ય તુલસી એવોર્ડ
આ ઉપરાંત વિશ્વનાથ સચદેવ, ડો. રામ મનોહર ત્રિપાઠી, બાળ કવિ બૈરાગી, પત્રિકા ગ્રુપના ચેરમેન ગુલાબ કોઠારી, નંદકિશોર નૌટિયાલ, રમેશચંદ્ર અગ્રવાલ, જગદીશચંદ્ર, શચિન્દ્ર ત્રિપાઠીને આ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં હરિવંશજીને અને સ્વ. ભૂપત વડોદરિયાને આ સન્માન મળ્યું હતું,  2016માં એડિયર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના મહાસચિવ તથા દૈનિક ભાસ્કર ગ્રુપના એડિટર પ્રકાશ દુબેને મળ્યું હતું. જ્યારે 2018માં કુમારપાળ દેસાઈને મળ્યું હતું


જાણો કોણ હતા જૈનાચાર્ય આચાર્ય તુલસી
જૈનાચાર્ય આચાર્ય તુલસી 1914માં રાજસ્થાનના નાગૌર જિલ્લાના લાડનુમાં જનમ્યા હતા. 1997માં રાજસ્થાનના ગંગાશહેરમાં તેઓ નિર્વાણ પામ્યા. આચાર્ય તુલસી જૈન ધર્મના શ્વેતાંબર તેરાપંથના નવમા આચાર્ય હતા. તેઓ અણુવ્રત અને જૈન વિશ્વ ભારતી યુનિવર્સિટીના પ્રવર્તક છે અને 100થી વધુ પુસ્તકો લખ્યાં હતાં. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પોતાના પુસ્તક લિવિંગ વિથ પર્પઝમાં આચાર્ય તુલસીજીને વિશ્વના 15 મહાન લોગોમાં સામેલ કર્યા હતા. તેમને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ 1971માં એક કાર્યક્રમમાં યુગ પ્રધાનની પદવીથી વિભૂષિત કર્યા હતા.


આચાર્યશ્રી તુલસીજીએ આ જગતને અણુવ્રતથી આરંભીને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતનાં સિદ્ધાંતોનો ખ્યાલ આપ્યો છે. આચાર્યશ્રીએ વૈશ્વિક ચેતનાના જાગરણનો પ્રયોગ કર્યો અને એના ચાર આયામો છે. સામાજિક જાગરણ, ધાર્મિક જાગરણ, આધ્યાત્મિક જાગરણ અને માનવઆત્માનું જાગરણ.