Heart attack prevention Tips :ગુજરાતમાં નવરાત્રિના મહોત્સવ સમયે જ હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે. છેલ્લા 2 દિવસમાં જ હાર્ટ એટેકથી 21 લોકોનાં મોત થયા છે. તો ઈમરજન્સી સેવા 108માં પણ હૃદયની સમસ્યાની ફરિયાદના કોલ વધ્યા છે. ગુજરાતમાં ગરબા રમી રહેલા લોકોએ 1100થી વધારે ઈમરજન્સી કોલ કર્યા છે. હાર્ટ એટેક મોત બાદ સરકાર પણ એલર્ટ થઈ છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે.  ત્યારે આજે સવારથી લઈને અત્યાર સુધી ત્રણ લોકોના હાર્ટએટેકથી જીવ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 2 દિવસમાં 21 લોકોના ગયા જીવ
ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આપણા નવરાત્રિ મહોત્સવમાં પણ લોકોનો જીવ જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના ઉત્તરોત્તર કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે માત્ર બે દિવસમા ગુજરાતમાં હાર્ટએટેકને કારણે 21લોકોના જીવ ગયા છે. તો આજે ત્રણ લોકોને છાતીમા દુખાવો ઉપડતા મોત થયા છે. ગુજરાતમાં નવરાત્રીના 6 દિવસમાં ગરબે રમતાં 1100 લોકોને તકલીફ થઈ હતી અને તેમણે 108 પર ઘણા ઈમરજન્સી કોલ આવ્યાં હતા. 


એવું કહેવાય છે કે આ લોકોને હાર્ટએટેક આવ્યો હતો અને કાર્ડિયાક અરેસ્ટ પણ આવ્યો હતો. ચિંતાની વાત એ છે કે ગરબામાં હાર્ટએટેકથી એક 17 વર્ષના છોકરાનું પણ મોત થયું. પરંતુ આવું કેમ બની રહ્યું છે અને કેમ આટલી નાની ઉંમરમાં હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. ખાસ કરીને ડાન્સ  કરતી વખતે અને હવે ગરબા દરમિયાન આવું થવાનું શું કારણ છે? આ અંગે એક્સપર્ટ્સ શું કહે છે તે સમજવા જેવું છે. 


શું કહે છે એક્સપર્ટ? 
શહેરના જાણીતા કાર્ડીયોલોજિસ્ટ ડૉ દર્શન બેન્કરે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. હૃદય રોગના હુમલામાં છેલ્લા દસ વર્ષથી સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ બાદ તેમજ વેક્સિનને કારણે હૃદય રોગના હુમલા વધ્યા છે. સમાજ ના તમામ વર્ગના લોકોની જીવન શૈલી પણ બદલાઈ ગઈ છે. હૃદય રોગ માટે કોઈ કુટુંબ કે વ્યક્તિ નહિ બલ્કે આખું સમાજ જવાબદાર છે. બાળકો માં હૃદય રોગના હુમલા પાછળ મોબાઈલ તેમજ બાહ્ય ખોરાક જવાબદાર છે. ગામડાઓમાં શુદ્ધ શાકભાજી અને પાણી નહિ મળે પણ પડીકા ને ગુટખા આસાની થી મળી જશે. પદ્મશ્રી કલાકારો પાન ગુટખાની જાહેરાતો કરી સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ક્રિકેટરો એપ્લિકેશન થકી સમાજ ના યુવાનો ને જુગાર રમવા પ્રેરિત કરી રહ્યા છે. કૌટુંબિક વ્યવસ્થા થી માંડી સમાજ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અત્યારના સમય માં નાગરિકોએ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. 


શું કાળજી લેવી જોઈએ
એક્સપર્ટના જણાવ્યાં મુજબ આ સમસ્યાથી બચવા માટે સવારથી સાંજ સુધી કમસેકમ બે લીલા શાકભાજી ખાવા જોઈએ. બહારનું ભોજન ટાળવું જોઈએ. મોડી રાત્રે ખોરાક ન લેવો જોઈએ. કસરત કરવી જોઈએ બાળકોને રમવા મેદાનમાં મોકલવા જોઈએ. રોજ દસ થી બાર હજાર ડગલાં અવશ્ય ચાલવું જોઈએ. ઠંડા પીણા સદંતર બંધ કરી દેવા જોઈએ. માનસિક તાણને કારણે પણ હૃદય રોગના કિસ્સા વધી રહ્યા છે. તેમના કહેવા મુજબ હરિફાઈના જમાનામાં લોકો કેપેસિટી કરતા વધારે કામ કરે છે. પરિવાર ના સભ્યો સાથે મળી સમય પસાર કરે તો માનસિક તાણ દૂર કરી શકાય. બાળકો ને પણ ભણતર માટે વધારે દબાણ ન કરવું જોઈએ. 


આ ઉપરાંત એક અન્ય મીડિયા રિપોર્ટમાં પણ રાજીવ ગાંધી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડો. અજિત જૈને કહ્યું છે કે છેલ્લા 3 વર્ષથી હાર્ટએટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખરાબ ખાણીપીણી, બગડેલી લાઈફસ્ટાઈલ,  અને કોરોના વાયરસે દિલને નબળું કરી નાખ્યું છે. કોવિડ વાયરસના કારણે અનેક લોકોના હાર્ટની નસોમાં બ્લડ ક્લોટ બની ગયા છે. જેનાથી હાર્ટએટેક આવી રહ્યા છે. 


ગરબામાં હાર્ટ એટેક કેમ?
ગરબા દરમિયાન લોકો નાચતા હોય છે જે એક ફિઝિકલ વર્ક જેવું છે. આથી આ દરમિયાન શરીરમાં ઓક્સિજનની માંગ વધી જાય છે. ઓક્સીજનની વધુ ડિમાન્ડના કારણે ફેફસાનું કામ વધી જાય છે. તેની સીધી અસર હાર્ટના ફંકશન પર પડે છે. હાર્ટ ઝડપથી બ્લડને પંપ કરવા લાગે છે. જેના કારણે હાર્ટ પર પ્રેશર પડે છે. 


એક્સપર્ટના જણાવ્યાં મુજબ હાર્ટની નસોમાં પહેલેથી જ બ્લડ ક્લોટ હોવાના કારણે બ્લડ પંપ કરતી વખતે હાર્ટ યોગ્ય રીતે બ્લડ પંપ કરી શકતું નથી. જેના કારણે હાર્ટ એટેક આવે છે તેવું માનવું છે. અનેક મામલાઓમાં તો દિલ અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. જે કાર્ડિયાક અરેસ્ટનું કારણ બને છે. કાર્ડિયાક અરેસ્ટ એક ખુબ જ ખતરનાક સ્થિતિ છે. જો ગણતરીની પળોમાં ટ્રિટમેન્ટ ન મળે તો મોત થઈ જાય છે. 


આવા લોકોને વધુ જોખમ
ડો.અજિત જણાવે છે કે જે લોકો હાઈબીપીના દર્દી છે તેમને આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી કરતી વખતે હાર્ટ એટેક આવવાનું જોખમ વધુ રહે છે. આવા લોકોએ ગરબા ઈવેન્ટ્સમાં જતા પહેલા પોતાની તમામ તપાસ કરાવી લેવી જોઈએ. જે લોકોને પહેલા ક્યારેય હાર્ટની કોઈ બીમારી રહી હોય તો તેમણે પણ  ડોક્ટરની સલાહ વગર ઈવેન્ટમાં જતા બચવું જોઈએ. 


(કાર્ડિયાલોજિસ્ટ ડો. દર્શન બેંકર ઈનપુટ- રવિ અગ્રવાલ, વડોદરા)