પટના : બિહારમાં એનડીએમાં સીટ વહેંચણી મુદ્દે ગુરૂવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જેડીયુ અધ્યક્ષ નીતીશ કુમારે વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક આશરે 45 મિનિટ જેટલી ચાલી હતી. પટનામાં યોજાયેલી આ મુલાકાત બાદ એક સભા સંબોધિત કરતા મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન અતુટ છે અને આગામી સમયમાં બંન્ને પાર્ટીઓ એક સાથે ચૂંટણી લડશે. શાહે તેમ પણ દાવો કર્યો કે, 2019ની ચૂંટણીમાં ભાજપનાં નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને બિહારની તમામ 40 સીટો પર વિજય પણ મળશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારમાં જ્ઞાન ભવનમાં પોતાની સભા દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, 2019ની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને પુર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની છે અને તેનાં માટે કાર્યકર્તાઓએ સંપુર્ણ નિષ્ઠા સાથે કામ કરવું પડશે. શાહે કહ્યું કે, બિહારમાં મહાગઠબંધનને હારનો સામનો કરવો પડશે અને એનડીએને તમામ 40 સીટો પર વિજય મળશે. 

જનતા કોંગ્રેસ પાસે 4 પેઢીનો હિસાબ માંગી રહી છે
શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ બાબા આજકાલ ભાજપને સવાલ પુછી રહ્યા છે પરંતુ રાહુલ બાબા તમને સવાલ પુછવાનો અધિકાર નથી. જનતા તમારી પાસે 4 પેઢીનો હિસાબ માંગી રહી છે. જનતા જાણવા માંગે છે કે 55 વર્ષનાં શાસનમાં તમે દેશ માટે શું કર્યું. શાહે કહ્યું કે, કોંગ્રેસની સરકારના સમયે આતંકવાદી હૂમલાઓ થતા હતા. અમારી સરકારમાં ભારતીય સૈનિકોએ ભારત માતા કી જયનાં નારાઓ સાથે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને તેમને નેસ્તોનાબુદ કરી દીધા. 

જનતાને જવાબ આપવો અમારી ફરજ
શાહે કહ્યું કે, દેશની જનતાએ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની સરકારને જવાબ આપ્યો અને અમારી ફરજ છે કે તેમને જવાબ આપવો જોઇએ. બિહારે અમને જનાદેશ આપ્યો છે અને અમે અહીંના લોકોને જવાબ આપવા માટે આવ્યા છીએ. રાહુલ બાબા સાંભળી લે અમે જનતાને ચાર વર્ષનો જવાબ આપવા આવ્યા છીએ. પરંતુ રાહુલ બાબા પોતે ચાર પેઢીનો હિસાબ તૈયાર રાખે.