નવી દિલ્હીઃ રાજસ્થાનના એક ગામમાં ફેસબુક પોસ્ટ પર થયેલી સામાન્ય બોલાચાલી બાદ વાત એટલી આગળ વધી ગઈ કે, એક પક્ષે એસસી-એસટી એક્ટ અંતર્ગત ડઝનબદ્ધ લોકો સામે કેસ દાખલ કરી દીધો. તો તેના જવાબમાં સામેના પક્ષે 70 દલિત પરિવારોના હુક્કા-પાણી બંધ કરી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાલુડી ગામની આ ઘટના છે. અહીં એક ફેસબુક પોસ્ટ પર વિવાદ થયા બાદ દલિતો તરફથી ગામના એક ડઝનથી વધુ લોકો સામે એસસી-એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના જવાબમાં ગામના લોકોએ પંચાયત બોલાવી અને લગભગ 70 જેટલા દલિત પરિવારોના હુક્કા-પાણી બંધ કરી દેવાયા. 


રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ જણાવ્યું કે, તમામ વ્યક્તિને અધિકાર સાથે જીવવાનો હક છે અને જો કોઈ વ્યક્તિને તેના મૌલિક અધિકારોથી વંચિત કરવામાં આવ્યો હશે તો અમે તેના સામે કડક હાથે કાર્યવાહી કરીશું. 


સામ-સામે આક્ષેપબાજી 
દલિત પરિવારોનો આરોપ છે કે, છેલ્લા એક સપ્તાહથી તેમને દુકાનો પરથી અનાજ સહિતની સામગ્રી મળતી નથી. તેઓ પોતાના પૈસાથી પણ કરિયાણું ખરીદી શક્તા નથી. આટલું જ નહીં, તેમણે જણાવ્યું કે તેમનાં બાળકોને સ્કૂલમાં પણ જવા દેવામાં આવતા નથી. 


સામે રાજપુરોહિત સમાજે જણાવ્યું છે કે, તેમના પર હુક્કા-પાણી બંધ કરી દેવાનો ખોટો આરોપ લગાવાયો છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, તેમના લોકો પર એસસી-એસટી એક્ટ અંતર્ગત દાખલ કરાયેલો કેસ પણ ખોટો છે. તેમણે સ્થાનિક જિલ્લા તંત્રને સમગ્ર કેસમાં નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. ગામમાં તણાવ વધતો જોઈને તંત્ર દ્વારા પોલિસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.