નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી કે, 200 યૂનિટ સુધી વીજળી વાપરનારા ગ્રાહકોને હવે વીજ બિલ ભરવું નહીં પડે. જોકે 200 યૂનિટ કરતાં વધુ વીજળી ખર્ચ કરનારા ગ્રાહકોને અગાઉની જેમ વીજળી બિલ ભરવું પડશે. આ જાહેરાતને પગલે સરકાર પર સબસિડી પેટે અંદાજે 1800 કરોડ રૂપિયાનો બોજ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2013માં 900 રૂપિયા આપવા પડતા
દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્ષ 2013માં 200 યૂનિટ વીજળીના વપરાશ પેટે અંદાજે 900 રૂપિયા વીજ બિલે ચૂકવવું પડતું હતું. અમારી સરકારમાં આ બિલ ઘટાડીને 477 રૂપિયા થયું છે. હવે દિલ્હીવાસીઓને આ પેટે કોઇ પૈસા ચૂકવવા નહીં પડે. દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં વીજ કંપનીઓની ખોટ 17 ટકાથી ઘટીને 8 ટકા થઇ છે. દિલ્હીમાં રહેનારા લોકો કે જે 200 યૂનિટ કે ઓછી વીજળી વપરાશ કરે છે એમને હવે બિલ ભરવાની જરૂરત નથી. 


400 યૂનિટ સુધી 50 ટકા રાહત
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, અમારી સરકાર આવ્યા પછી દિલ્હીમાં વીજળી સસ્તી થઇ છે. સાથોસાથ વીજળી કંપનીઓની હાલત જે ખરાબ હતી એ સુધરી છે. આમ છતાં અમે વીજળી મોંઘી થવા દીધી નથી. છેલ્લા પાંચ વર્ષની મહેનત બાદ દિલ્હીમાં વીજળીની સ્થિતિ સુધરી છે. 200 યૂનિટ સુધી ફ્રી છે અને 201થી 400 યૂનિટ સુધી બિલમાં 50 ટકા રાહત આપવામાં આવશે. 


ભાજપની લડાઇની જીત થઇ: મનોજ તિવારી
બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે આ અરવિંદ કેજરીવાલનો નિર્ણય નથી. આ ભાજપની લડાઇની જીત છે. ચૂંટણી આવી રહી છે. કેજરીવાલ સરકારે ચૂંટણી લાલચ આપી છે. કેજરીવાલને બીજી ચૂંટણી લડવાની છે એટલે આ જાહેરાત કરી છે. 


ગુજરાત, દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો