નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી આઈએએસ ઓફિસરોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. કેજરીવાલે કહ્યું કે, આઈએએસ ઓફિસર અમારા પરિવારનો ભાગ છે. તેમને સુરક્ષા આપવી અમારી જવાદારી છે. તેમણે કહ્યું કે, ચૂંટાયેલી સરકારનો વિરોધ આઈએએસ ઓફિસર બંધ કરી દે. આ પહેલા આપના નેતાઓએ પીએમ આવાસ સુધી માર્ચ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને સંસદ માર્ગ પર રોકી દેવામાં આવ્યા હતા. 



છેલ્લા સાત દિવસથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે આજે સાંજે આપ નેતા વડાપ્રધાન આવાસ 7 લોક કલ્યાણ માર્ચનો ઘેરાવ કરવા ભેગા થયા. પ્રદર્શનને જોતા દિલ્હી મેટ્રોના પાંચ સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા. જુલૂસ મંડી હાઉસથી પીએમ આવાસ સુધી જવાનું હતું. ડીએમઆરસીએ સાવચેતીના ભાગ રૂપે લોક કલ્યાણ માર્ગ સ્ટેસન પર બપોરે 12 કલાકથી પ્રવેશ તથા બહાર આવવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ કેન્દ્રીય સચિવાયલ, ઉદ્યોગ ભવન, પટેલ ચોક તથા જનપથ સ્ટેશન પણ બપોરે 2 કલાકથી બંધ થઈ ગયા હતા.