દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તેમને તિહાડ જેલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય એજન્સીએ સીએમની 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માંગી હતી જેના પર રાઉજ એવન્યુ કોર્ટે મહોર લગાવી દીધી. કોર્ટમાં પેશી માટે લઈ જવામાં આવતા હતા તે વખતે કેજરીવાલે કહ્યું કે પીએમ જે પણ કરી રહ્યા છે તે ઠીક નથી કરી રહ્યા. આ ઉપરાંત ઈડીએ એક ચોંકાવનારો દાવો એમ પણ કર્યો છે કે કેજરીવાલે બે નેતાઓના નામ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલ માટે તિહાડ જેલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમને તિહાડની કયા નંબરની જેલમાં રાખવામાં આવશે તે અંગે મીટિંગ ચાલુ છે. તિહાડમાં હાલ ટોટલ 9 જેલ છે જેમાં 12 હજાર જેટલા કેદીઓ છે. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું કે કેજરીવાલ તપાસમાં મદદ કરતા નથી. તેઓ ગોળગોળ જવાબ આપે છે અને તપાસ આગળ ન વધે એટલે તેમના આઈફોનના પાસવર્ડ પણ આપતા નથી. 


તિહાડ જેલમાં હાઈ લેવલ બેઠક
મીડિયા રિપોર્ટ્સ મુજબ હાલમાં તિહાડ જેલમાં હાઈલેવલ બેઠક થઈ હતી. કહેવાયું હતું કે આ મામલે આજે પણ એક  હાઈ લેવલની બેઠક થઈ છે. ગત બેઠકોમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં રાખવામાં આવે તો તેમને કયા નંબરની જેલમાં રાખવા. આ સાથે જ તેમની સુરક્ષાને લઈને પણ ચર્ચા થઈ. 



ઈડીએ કર્યો ખુલાસો
ઈડીએ કોર્ટમાં જણાવ્યું કે પૂછપરછમાં કેજરીવાલ ગુમરાહ કરવાની કોશિશ કરે છે. જે સમયે ઈડીના વકીલ દલીલ કરી રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં હાજર હતા. જ્યારે ઈડીએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલે પૂછપરછમાં જણાવ્યું છે કે વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા. તો તે વખતે કેજરીવાલ ચૂપ્પી સાધીને બેઠા હતા. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે તેમણે કોર્ટમાં બે મંત્રીઓના નામ લીધા. કેજરીવાલે ઈડીને પૂછપરછ  દરમિયાન કહ્યું કે વિજય નાયર તેમને નહીં પરંતુ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા. નોંધવા જેવી વાત એ છે કે જ્યારે ઈડી કોર્ટમાં આ જણાવી રહી હતી ત્યારે કેજરીવાલે તે વાતને ફગાવી પણ નહીં અને મૌન જાળવી રાખ્યું. 



કોર્ટમાં હતા ભારદ્વાજ!
મીડિયા રિપોર્ટ મુજબ જે સમયે સૌરભ ભારદ્વાજનું નામ લેવાયું ત્યારે તેઓ કોર્ટ રૂમમાં હાજર હતા. પોતાનું નામ સાંભળીને તેઓ ચોંકી ગયા હતા અને તમણે ત્યાં ઊભેલા સુનિતા કેજરીવાલ તરફ જોયું અને સુનિતા કેજરીવાલે પણ સૌરભ ભારદ્વાજ તરફ જોયું હતું. 


અત્રે જણાવવાનું કે આતિશી ગોવા વિધાનસભા ચૂંટણી વખતે ગોવા પ્રભારી હતા. અરવિંદ કેજરીવાલ એ સવાલનો જવાબ આપવાથી  બચી રહ્યા કે આખરે નાયરે કેમ સીએમ કેમ્પ કાર્યાલયમાં કામ કરનારા લોકો વિશે જાણકારી નહીં હોવાનો દાવો કર્યો હતો, તેણે સીએમના કેમ્પ કાર્યાલયથી કામ કર્યું હતું. 



આપના કયા નેતાઓ જેલમાં?
થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને 2 નંબરની જેલમાંથી 5 નંબરની જેલમાં શિફ્ટ  કરાયા. મનિષ સિસોદીયાને જેલ નંબર 1માં રખાયા છે. જ્યારે સત્યેન્દ્ર જૈન જેલ નંબર 7માં છે. આ જેલમાં ઈડી અને સીબીઆઈ સંબંધિત કેદીઓ રાખવામાં આવે છે. 


નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલને ઈડીએ 21મી માર્ચના રોજ ધરપકડ કરી હતી. જ્યારે 28 માર્ચ સુધી પહેલીવાર ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ ફરીથી કસ્ટડી માંગી અને કોર્ટે તેમને 1 એપ્રિલ સુધી કસ્ટડી લંબાવી હતી. હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.