ધર્મશાલા : સમગ્ર દેશમાં ગાયનાં નામે ચાલી રહેલ રાજનીતિ વચ્ચે હિમાચલ પ્રદેશની વિધાનસભાએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. ગુરૂવારે ધર્મશાળામાં આયોજીત વિધાનસભા સત્ર દરમિયાન આ પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો. વિધાનસભા દ્વારા આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. તે અગાઉ ઉતરાખંડે આ જ વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને પ્રસ્તાવિત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસ્તાવને કોંગ્રેસી ધારાસભ્ય અનિરુદ્ધ સિંહે સદનનાં પટલ પર રજુ કર્યું હતું, જેને સત્તાધારી ભાજપનાં તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. ગાયનો રાજનીતિક મુદ્દો નહી બનાવવા અંગે પણ જોર આપતા અનિરુદ્ધ સિંહે કહ્યું કે, ગાય કોઇ જાતી, ધર્મ કે નસલમાં વિભાજીત કરી શકાય નહી. ગાયનું સમગ્ર માનવતાનાં વિકાસમાં મહત્વનું યોગદાન રહેલું છે. 

સિંહે કહ્યું કે, ગાય જ્યારે દુધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને રખડતી મુકી દે છે. એટલા માટે આ પ્રકારનું પગલું ઉઠાવવામાં આવે તે જરૂરી છે. એટલું જ નહી તેમણે ગાયનાં નામે હિંસા અને મોબ લિન્ચિંગ અટકાવવા માટે પગલા ઉઠાવવાની જરૂરત પણ વ્યક્ત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબર 2015ના રોજ હિમાચલ પ્રદેશનાં સિરમોર જિલ્લામાં ગૌતસ્કરીનાં મુદ્દે  એક યુવકને ટોળાએ ઢોર માર માર્યો હતો. 

રાજ્યના પશુધન વિકાસ મંત્રી વીરેન્દ્ર કંવરે કહ્યું કે, સરકાર રાજ્યમાં અનેક ગૌઅભ્યારણ્ય બનાવવાનાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, સિરમોર જિલ્લામાં આ પ્રકારનાં અભ્યારણ્યની સ્થાપના માટે 1.52 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સોલન અને કાંગડા જિલ્લામાં પણ તેને સ્થાપિત કરવામાં આવશે.