ઘાટોલ : રાજસ્થાનમાં સોમવારે અન્નપૂર્ણા દૂધ યોજનાના પ્રારંભે ભાજપના સાંસદે એક નવા વિવાદને છેડ્યો છે. નવી યોજનાનો પ્રારંભ કરાવતાં બાંસવાડાના ભાજપી સાંસદ માનશંકર નિનામાએ જનતાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન ગણાવ્યા તો રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેને દેવીનો અવતાર ગણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાટોલમાં દૂધ યોજનાને શરૂઆત કરાવતાં બાંસવાડાના સાંસદ માનશંકરે ઉપસ્થિત જનતાને સંબોધન કર્યું હતું. પ્રવચનમાં તેમણે કહ્યું કે, બાળકો માટે ભગવાન જાતે ધરતી પર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાળકો માટે ભગવાનના રૂપમાં આવ્યા છે અને મુખ્યમંત્રી વસુંધરા રાજે બાળકો માટે દેવીના રૂપમાં ધરતી પર આવ્યા છે. બંને દેશ માટે કામ કરી રહ્યા છે અને સારી યોજનાઓ શરૂ કરી રહ્યા છે. આ યોજનાઓથી જનતાને લાભ થઇ રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, આટલું કરવા બાદ પણ જો કોઇ બાળક કુપોષણથી મરી જાય તો એ સારી બાબત નથી. 


અન્નપૂર્ણા દૂધ યોજનાને 2 જુલાઇથી સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકારી સ્કૂલ અને મદરેસાના બાળકોને મફતમાં દૂધ અપાશે. ધો.1થી 8 સુધીના બાળકોને સપ્તાહમાં ત્રણ દિવસ મફત દૂધ આપવામાં આવશે. ધો.1થી5 ના બાળકોને 150 મીલી દૂધ આપવામાં આવશે. જ્યારે ધો.6થી8ના બાળકોને 200 મીલી સુધી દૂધ આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં સોમવાર, બુધવાર અને શુક્રવારે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં મંગળવાર, ગુરૂવાર અને શનિવારે દૂધ આપવામાં આવશે. સરકાર દ્વારા દૂધની ગુણવત્તા અને શુધ્ધતાની પણ સમયાંત્તરે ચકાસણી કરાશે. 


અહીં નોંધનિય છે કે, આ યોજનાનો 64 હજાર 506 સરકારી સ્કૂલોના બાળકોને લાભ મળશે અને આ યોજનામાં રાજ્યમાં મદરેસાના બાળકોને પણ સમાવી લેવાયા છે.