નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાષ્ટ્રીય  કારોબારી બેઠકનો આજે એટલે કે રવિવારે છેલ્લો દિવસ છે. તેના સમાપન સત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે આ બે દિવસની બેઠકનો શુભારંભ કર્યો હતો. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતા, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નેતા તથા પ્રમુખ કાર્યકર્તાઓ ભાગ લઈ રહ્યાં છે. ભાજપની આ બેઠકમાં 2019ની લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા થઈ રહી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં ફરી બનશે ભાજપની સરકાર-જાવડેકર
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે યુપીએના શાસનમાં મોંઘવારી દર 10 ટકા હતો, અમારી સરકારમાં તે 5 ટકાથી ઓછો રહ્યો. ભાજપ સરકારે પોતાના કાર્યકાળમાં સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધા. 2019માં ફરી ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે વિપક્ષની પાસે કોઈ એજન્ડા નથી, કોઈ નીતિ નથી અને કોઈ રણનીતિ નથી. તેઓ ફક્ત મોદી રોકો અભિયાન ચલાવી રહ્યાં છે. દેશના લોકો તેમના વિશે જાણે છે. અમે 2019માં ફરીથી પ્રચંડ બહુમતથી જીતીશું. 


રાજનાથે રજુ  કર્યું વિઝન 2022
ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજનીતિક પ્રસ્તાવ રજુ કર્યો છે. તેનું નામ વિઝન 2022 છે. તેમણે આ પ્રસ્તાવ દ્વારા પીએમ મોદીના નવા ભારતની સંકલ્પના રજુ કરી. પ્રસ્તાવ મુજબ 2022 સુધીમાં દેશમાં કોઈ બેઘર નહીં હોય, આતંકવાદ નહીં હોય, જાતિવાદ નહીં હોય. 2014થી ભાજપે 15 રાજ્યોમાં ચૂંટણી જીતી છે અને 20 રાજ્યોમાં સરકારમાં છે. 



વિપક્ષ 10 રાજ્યોમાં છે અને કોંગ્રેસ ફક્ત ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં સમેટાઈ ગઈ છે. આથી સત્તા પ્રાપ્તિ માટે હતાશામાં છે અને મહાગઠબંધન જેવો વિકલ્પ શોધી રહી છે. વિપક્ષ પાસે પીએમ મોદી જેવા કોઈ નેતા નથી. વિપક્ષનું એક માત્ર લક્ષ્ય 'મોદી રોકો' છે આથી વિપક્ષ અનૈતિક ગઠબંધનની વાતો કરી રહ્યો છે. 


સરકારે કર્યા સુધારા- રાજનાથ
તેમણે કહ્યું કે આર્થિક ક્ષેત્રમાં ભાગેડુઓને કડક સંદેશો અપાયો છે કે તેમણે ભારતીય જેલમાં પાછા આવવું જ પડશે. અમારી સરકારે તેમાં મૂળભૂત સુધારા  કર્યા અને આકરા પગલાં લીધા. જેને ક્રિએટિવ ડિસ્ટ્રક્શન નામ અપાયું. નોટબંધી, જીએસટીએ અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ સુધારા કર્યાં. થોડી પરેશાનીઓ બાદ અર્થવ્યવસ્થા હવે ઝડપથી આગળ વધી રહી છે. જીડીપીમાં વધારો તેના ઉદાહરણ છે. 


રાષ્ટ્રહિત માટે પાર્ટીનો કર્યો ત્યાગ
રાજનાથ સિંહે કહ્યું કે ભ્રષ્ટાચાર પર પૂર્ણ રીતે કાબુ મેળવવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારીઓએ પોતાને બચાવવા માટે હોંગકોંગથી લંડન ભાગવું પડી રહ્યું છે. આવા ભાગેડુઓને ભારતીય જેલમાં રહેવા માટે પાછા ફરવું જ પડશે. આંતરિક સુરક્ષાને લઈને કડક સંદેશો અપાયો છે. એનઆરસીથી દેશની સુરક્ષા માટે મહાન કાર્ય થયું છે. ભારત આવનારા અલ્પસંખ્યક શરણાર્થીઓના હિતોની રક્ષા માટે પણ પગલાં લેવાશે પરંતુ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કરીશું. જમ્મુ અને કાશ્મીરમાં આકરા પગલાંથી આતંકવાદ ઓછો થયો છે. રાષ્ટ્રીય હિત માટે પાર્ટીના હિતનો પણ અમે ત્યાગ કર્યો છે. 



અવિશ્વાસ પ્રસ્તાવમાં અમે જીત્યા-શાહ
બીજી બાજુ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાના અધ્યક્ષીય ભાષણમાં કારોબારી  સામે ભવિષ્યની રાજકીય રૂપરેખા રજુ કરી. તેમણે ભાષણની શરૂઆતમાં અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમનું સ્થાન ક્યારેય ભરાઈ શકે નહીં તેઓ અજાતશત્રુ રહ્યાં છે. શાહે કહ્યું કે ગત કારોબારી બેઠક બાદ અનેક રાજ્યોમાં ચૂંટણી થઈ જેમાં અમે જીત્યાં. ત્રિપુરામાં જીત મળી અને કર્ણાટકમાં પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી. દેશના 75 ટકા ભૂભાગમાં ભાજપની સરકાર છે. જનતામાં કોઈ આક્રોશ નહતો પરંતુ સરકારે અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકાર્યો અને મોટા અંતરથી હરાવ્યો. 



કોંગ્રેસ બ્રેકિંગ ઈન્ડિયા કરી રહી છે
અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અલગ અલગ અભિયાનો દ્વારા પાર્ટી મેકિંગ ઈન્ડિયા કરી રહી છે જ્યારે કોંગ્રેસ બ્રેકિંગ ઈન્ડિયા કરી રહી છે. એનઆરસીનો ઉલ્લેખ કરીને અમિત શાહે કહ્યું કે આ અગાઉ 9 વખત કારોબારીમાં ચર્ચા થઈ છે. ઘૂસણખોરોને ઘૂસવા દેવામાં નહીં આવે તેમાં ખોટું શું છે. પાર્ટી દેશભરમાં સર્જિકલ સ્ટ્રાઈકને લઈને શૌર્ય દિવસ મનાવશે. 


અમિત શાહે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઉપર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે મનમોહન સિંહ પોતાની પાર્ટીને ફોલો કરે છે અને મોદીજી ભાજપને લીડ કરે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવનારા હિંદુઓ, બૌદ્ધ, જૈન, ઈસાઈ શરણાર્થીઓને આપણે શરણ આપવી જોઈએ.