નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં થોડા દિવસ પહેલા જ ઔરંગઝેબ નામના પોલીસકર્મીનું અપહરણ અને હત્યાનો બનાવ બન્યો હતો. હવે ફરી એક પોલીસકર્મીના અપહરણ અને હત્યાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ શોપિયામાં પોલીસકર્મી જાવેદ અહેમદ ડાર નામના પોલીસકર્મીનું પહેલા અપહરણ કર્યું અને હવે તેનો મૃતદેહ કુલગામથી મળી આવ્યો છે. કોન્સ્ટેબલ જાવેદ એસએસપી સાથે તહેનાત હતો. જાવેદનું ગુરુવારે શોપિયાના કચદૂરા વિસ્તારથી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ સમયે જાવેદ એક મેડિકલ સ્ટોરમાં દવા લેવા જઈ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે કરો ક્લિક- JK: આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદનું અપહરણ કરીને હત્યા કરી, VIDEO   


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ એક કારમાં 3થી 4 હથિયારધારી આતંકીઓ આવ્યાં હતાં. આતંકવાદીઓએ હવામાં ફાયરિંગ કર્યું અને બંદૂકની નોક પર જાવેદને જબરદસ્તીથી કારમાં બેસાડીને ફરાર થઈ ગયાં. રિપોર્ટ્સ મુજબ જાવેદનું અપહરણ કરીને હત્યા કરવાની જવાબદારી હિજબુલ મુજાહિદ્દીન નામના આતંકી જૂથે લીધી છે. 


મળતી માહિતી મુજબ જાવેદ છેલ્લા પાંચ વર્ષથી એસએસપી શૈલેન્દ્રકુમાર સાથે ઓપરેટર તરીકે તહેનાત હતો. જાવેદે પોલીસ મહકમેને જણાવ્યું હતું કે તે તેની માતાની દવા લેવા જઈ રહ્યો છે. તેણે કહ્યું હતું કે તેની માતાને દવાઓની જરૂર છે અને તેઓ હજ માટે જઈ રહ્યાં છે.


દક્ષિણ કાશ્મીરના શોપિયામાં આ કોઈ પહેલી ઘટના નથી. આતંકવાદીઓનો ઈતિહાસ જણાવે છે કે તેઓ સુરક્ષાદળો સાથે બદલો લેવા માટે આ જ વિસ્તારની પસંદગી કરે છે. અત્યાર સુધી જવાનોના અપહરણ કરવાના જેટલા બનાવો બન્યાં છે તેમાં આતંકીઓએ પહેલા તો નિહત્થા સુરક્ષાકર્મીઓનું અપહરણ કર્યું અને પછી કાયરતા દાખવીને તેમની હત્યા કરી નાખી.


આ વિસ્તારમાંથી જ થયું હતું ઔરંગઝેબનું અપહરણ
આતંકીઓએ ગત મહિને રમજાનના પવિત્ર માસમાં ઔરંગઝેબનું અપહણ કર્યું હતું. અપહરણ સમયે ઔરંગઝેબ ઈદની રજામાં ઘરે જઈ રહ્યો હતો. ત્યારબાદ 14 જૂનના રોજ ગોળીઓથી વિંધાયેલો તેનો મૃતદેહ પુલવામા જિલ્લાના ગુસ્સુ ગામમાંથી મળી આવ્યો હતો. ઔરંગઝેબ જમ્મુ અને કાશ્મીરની લાઈટ ઈન્ફ્રેન્ટ્રીનો ભાગ હતો. જે 44 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે કામ કરી રહી છે. ઔરંગઝેબ શોપિયામાં 44 આરઆર કોર ટીમનો ભાગ હતો. 


જૌશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ભત્રીજા મહેમૂદ ભાઈને સેનાની જે ટીમે માર્યો હતો, ઔરંગઝેબ તે ટીમનો ભાગ હતો. જેનો બદલો લેવા માટે આતંકીઓએ ઔરંગઝેબને માર્યો હતો. 


અત્રે જણાવવાનું કે આતંકીઓ રાજ્યપાલ શાસનમાં સુરક્ષાદળોની કાર્યવાહીથી હચમચી ગયા છે. સેનાએ આતંકીઓ વિરુદ્ધના ઓપરેશન ઓલઆઉટને ઝડપી બનાવ્યું છે. સુરક્ષાદળોએ 22 આતંકીઓની હિટ લિસ્ટ તૈયાર કરી છે. જેમાં હિજબુલના 11, લશ્કર એ તૈયબાના સાત અને જૈશના બે આતંકીઓ સામેલ છે.