નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂર (CBI)ના બે ટોચના અધિકારીઓ વચ્ચેનો વિવાદ જાહેરમાં આવી ગયાના કેટલાક સપ્તાહ બાદ નાણા મંત્રી અરૂણ જેટલીએ મંગળવારે તપાસ એજન્સીઓને સલાહ આપતા જણાવ્યું છે કે, તેમણે પોતાનું વ્યવસાયિક વલણ જાળવી રાખવું જોઈએ. પોતાના મૂળભૂત સિંદ્ધાંત પ્રમાણે ચુપ-ચાપ કામ કરતા રહેવું જોઈએ. કોઈ પણ કેસની તપાસ ચાલતી હોય ત્યારે તેના શરૂ થયાના તુરંત બાદ જ એજન્સીઓએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાના આકર્ષણથી બચવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને પણ તેમણે સલાહ આપી છે કે, તેણે પોતાની સર્વોચ્ચ સ્તરની અખંડતા તથા વ્યવસાયિક ધોરણોને જાણવી રાખવા જોઈએ. એક સંપૂર્ણ રીતે સક્ષમ સંગઠન બનવા માટે કામ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે,  DRI એક્સાઈઝ ડ્યુટીમાં ગેરરિતી અને દાણચોરી સાથે જોડાયેલા કેસમાં ટોચની ગુપ્તચર અને તપાસ એજન્સી છે. 


જેટલીએ જણાવ્યું કે, જો પોલિસ સહિતની વિવિધ તપાસ એજન્સીઓ પર નજર નાખીએ તો, DRIને એ શ્રેય જાય છે કે, તે ક્યારેય વિવાદોમાં સપડાઈ નથી. DRIના 61મા સ્થાપના દિવસને સંબોધિત કરતા નાણામંત્રીએ કેટલાક આધારભૂત સિદ્ધાંત નક્કી કર્યા હતા, જેમણે પ્રત્યેક એજન્સીએ અપનાવવા જોઈએ, જેથી ઉત્કૃષ્ટતાના સર્વોચ્ચ સ્તરને હાંસલ કરી શકાય. 


તેમણે જણાવ્યું કે, ડીઆરઆઈએ પોતાની સર્વોચ્ચ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ ક્ષેત્રમાં વિશેષજ્ઞતાનો વિકાસ કરી રહી છે. એજન્સીએ દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડતા તત્વોને અંકુશ લેવાનું બહુ મોટું કામ કર્યું છે. તપાસ એજન્સીઓએ પ્રારંભિક તપાસ બાદ મીડિયા સમક્ષ દોડી જવાને બદલે વ્યવસાયિક રીતે માત્ર તપાસ પ્રક્રિયા અને પુરાવા એકઠા કરવા પર ધ્યાન આપવું જોઈએ.