હાસન (કર્ણાટક): ભાજપને સત્તામાંથી બહાર રાખવા માટે કોંગ્રેસ અને જેડીએસએ ગમેતેમ કરીને ગઠબંધન તો કરી લીધુ અને સરકાર બનાવી લીધી પરંતુ સરકારમાં હાલ બધુ બરાબર નથી. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મોટા નેતા સિદ્ધારમૈયાએ એકવાર ફરીથી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાસનની એક જનસભામાં સિદ્ધારમૈયાએ કહ્યું કે જનતાના આશીર્વાદથી હું ફરીથી એકવાર રાજ્યનો મુખ્યમંત્રી બનીશ. તેમણે કહ્યું કે તેમને બીજીવાર મુખ્યમંત્રી બનતા રોકવા માટે વિપક્ષે પરસ્પર હાથ મીલાવ્યાં અને મોટા પાયે જાતિ કાર્ડ અને ધનનો સહારો લેવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધારમૈયાએ કહ્યું કે મેં વિચાર્યુ હતું કે લોકો મને ફરીથી એકવાર આશીર્વાદ આપશે અને મને મુખ્યમંત્રી બનાવશે. દુર્ભાગ્યપૂર્ણ, હું હારી ગયો પરંતુ આ અંત નથી. રાજકારણમાં હાર જીત સામાન્ય છે. 


અત્રે જણાવવાનું કે કર્ણાટક એકમાત્ર રાજ્ય છે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. ચાલુ વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં અહીં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નહતો. ભાજપ 104 ધારાસભ્યો સાથે નંબર વન પાર્ટી બની હતી પરંતુ બીએસ યેદિયુરપ્પા વિધાનવસભામાં બહુમત સાબિત કરી શક્યા નહતાં. ત્યારબાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. કોંગ્રેસે કોઈ પણ શરતવગર જેડીએસને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ જેડીએસના એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યાં અને તેમના નેતૃત્વમાં સરકાર બની. કોંગ્રેસ પાસે 78 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે. 


કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર બન્યે હજુ તો ગણતરીના મહિનાઓ થયા છે ત્યાં બંને પક્ષો તરફથી નિવેદનો આવવાના ચાલુ થઈ ગયા છે. મુખ્યમંત્રી કુમારસ્વામી કહી ચૂક્યા છે તે તેમને જનતાએ નહીં કોંગ્રેસે મુખ્યમંત્રી બનાવ્યાં છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના તાજા નિવેદનથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે ગઠબંધનમાં બધુ બરાબર નથી.


નોંધપાત્ર વાત એ છે કે સરકાર બનાવ્યાં બાદ રાજ્યમાં થયેલી પેટાચૂંટણીમાં પણ બંને પક્ષોએ એક બીજા વિરુદ્ધ ઉમેદવારો ઉતાર્યા હતાં. આ ઉપરાંત જેડીએસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગૌડા પણ કહી ચૂક્યા છે કે તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં એકલી ઉતરી શકે છે.