ઝી બ્યૂરો, અમદાવાદઃ બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો 20 વધુ બેઠકો આવી હોત તો તે તમામ જેલમાં હોત. ખડગેએ કહ્યું, '400 પાર વાળા ક્યાં ગયા? તેઓ 240 સુધી મર્યાદિત રહી ગયા... જો અમને 20 વધુ બેઠકો મળી હોત તો આ બધા લોકો જેલમાં હોત. આ લોકો જેલમાં રહેવાને લાયક છે. ભાજપ ભાષણો તો ઘણા આપે છે, પણ કામ અને શબ્દોમાં ઘણો ફરક છે. ભાજપ ગમે તેટલી કોશિશ કરે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન નબળું નહીં પડે. અમે સંસદમાં અમારી તાકાત બતાવી છે. અમે એ જ તાકાત સાથે આગળ વધીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારેય સફળ નહીં થાય એમના પ્રયાસો-
ખડગેએ કહ્યું 'ભાજપ અહીંના લોકોને હિંદુ અને મુસ્લિમ વચ્ચે વહેંચવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેમના પ્રયત્નો જીવનમાં ક્યારેય સફળ નહીં થાય. આવા હજારો ભાજપ અને આરએસએસના કાર્યકરો આવશે અને જશે. અહીંના લોકો ઝૂકવાના નથી. કોંગ્રેસ પાર્ટી અહીંની જનતાની સાથે છે. આપણે બધા એક છીએ અને હંમેશા એક રહીશું.


કોંગ્રેસના 'INDIA ગઠબંધન'થી ડરી ગઈ છે ભાજપ'-
ખડગેએ વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જોઈને ભાજપ નર્વસ થઈ ગઈ છે. તેથી જ ભાજપ વારંવાર જમ્મુ-કાશ્મીરની યાદી બદલી રહી છે. એટલી ટેન્શનમાં છે કે બે-ત્રણ લિસ્ટ બદલી કાઢ્યા છે. આ દર્શાવે છે કે તેઓ INDIA ગઠબંધનની એકતાથી કેટલા ડરેલા છે.


ખડગેએ રાહુલની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો-
રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખડગેએ કહ્યું, 'રાહુલ ગાંધીએ સૌથી મોટી યાત્રા કાઢી. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કાશ્મીરમાં પૂરી થઈ. ભારત જોડો યાત્રા, જેમાં હું પણ સામેલ હતો, ફારૂક અબ્દુલ્લા પણ તેમાં સામેલ હતા. તે યાત્રા અહીં ખૂબ જ સફળ રહી છે.