શાદાબ સિદ્દિકી, નવી દિલ્હી: કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના સંયોજક દિવ્યા સ્પંદનાએ પદ પરથી રાજીનામું આપ્યા હોવાના અહેવાલ છે. સૂત્રોના હવાલે મળેલા સમાચાર મુજબ સ્ંપંદના હવે કોંગ્રેસના સોશિયલ મીડિયા સંયોજકના પદે કામ કરશે નહીં. સૂત્રોનું એમ પણ કહેવું છે કે તેમને પાર્ટીમાં કોઈ અન્ય મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવશે. જો કે સ્પંદના કે પછી કોંગ્રેસ દ્વારા આ અંગે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક ટ્વિટ કરવા મુદ્દે સ્પંદના વિરુદ્ધ લખનઉમાં દેશદ્રોહ અને આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. કહેવાય છે કે આથી સ્પંદનાએ રાજીનામું આપ્યું છે. એફઆઈઆર કરનારા અધિવક્તા સૈયદ રિઝવાન એહમદે કહ્યું હતું કે 'દિવ્યાની ટ્વિટ અપમાનજનક હતી. વડાપ્રધાનનું પદ આપણા દેશની સંપ્રભુતા અને ગણરાજ્યનું પ્રતિક છે. સ્પંદનાની ટ્વિટ આપણા દેશનું અપમાન છે. તેમણે આ પદ અને દેશનું અપમાન કર્યું છે.'


શું છે સમગ્ર મામલો
કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પાર્ટીના સોશિયલ મીડિયા સેલના સંયોજક સ્પંદનાએ રાફેલ ડીલ મામલે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. સ્પંદનાએ પીએમનો એક વિવાદાસ્પદ ફોટો ટ્વિટ કર્યો હતો. આ મામલે તેમના વિરુદ્ધ લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહ અને આઈટી એક્ટ હેઠળ અધિવક્તા સૈયદ રિઝવાન એહમદે એફઆઈઆર દાખલ કરી. પોલીસના જણાવ્યાં મુજબ વિવેકખંડ નિવાસી અધિવક્તા સૈયદ રિઝવાન એહમદની અરજી પર મંગળવારે દિવ્યા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા મામલે તપાસ સાઈબર સેલને સોંપવામાં આવી.