નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજોનારી વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે આ રાજ્યોમાં રેલીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજકીય પાર્ટીઓને વર્ચ્યુઅલ રેલી કરવાની મંજૂરી છે. આ પ્રતિબંધ આગળ યથાવત રહેશે કે નહીં? તેના પર શનિવારે ચૂંટણી પંચ મંથન કરશે. હકીકતમાં કોરોના મહામારીને જોતા પંચે આ તમામ રાજ્યોમાં જાહેર રેલી, રોડ શો અને બાઇક રેલી સહિત અન્ય વસ્તુ પર પ્રતિબંધ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલીઓ પર પ્રતિબંધ યથાવત રહેશે?
શનિવાર એટલે કે 15 જાન્યુઆરીએ ચૂંટણી પંચની યોજાનારી બેઠકમાં આ પ્રતિબંધોને આગળ વધારવા કે તેને ખતમ કરવા પર કોઈ નિર્ણય થઈ શકે છે. સૂત્રો પ્રમાણે આ પાંચ રાજ્યોમાં કોરોના અને તેના નવા વેરિએન્ટ ઓમિક્રોનની સ્થિતિના આધાર પર જ કોઈ નિર્ણય ચૂંટણી પંચ લેશે. આ પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણીની તારીખો જાહેર કરતા સમયે પંચે મહામારીને જોતા 15 જાન્યુઆરી સુધી રેલીઓ અને જનસભાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 


પ્રચારને લઈને જાહેર કરી હતી ગાઇડલાઇન્સ
પંચે આ રાજ્યોમાં ચૂંટણી પ્રચારને લઈને ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. તેમાં સભાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ડોર-ટૂ-ડોર પ્રચાર માટે પાંચ લોકોની સંખ્યા નક્કી કરી હતી. તો મતગણતરી બાદ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 


આ પણ વાંચોઃ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, તપાસ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો


ચૂંટણી પ્રચારનો સમય વધ્યો
શુક્રવારે ચૂંટણી પંચ તરફથી એક પ્રેસ રિલીઝ જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે પ્રસાર ભારતીય કોર્પોરેશન સાથે ચર્ચા કર્યા બાદ દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારનો સમય ડબલ કરી દેવામાં આવ્યો છે. 


મહત્વનું છે કે દૂરદર્શન પર રાજકીય પાર્ટીના પ્રચારની શરૂઆત સૌથી પહેલા 1998ની લોકસભા ચૂંટણીમાં થઈ હતી. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 7 તબક્કામાં થશે. 10 ફેબ્રુઆરીથી લઈને 7 માર્ચ સુધી ચૂંટણી કરાવવામાં આવશે અને 10 માર્ચે મતગણતરી થશે. 


કોવિડ પ્રોટોકોલનો ભંગ, કેસ નોંધાયો
ચૂંટણી પંચ દ્વારા અગાઉ આપવામાં આવેલી સ્પષ્ટ સૂચનાઓ છતાં, લખનઉમાં સ્વામી પ્રસાદ મૌર્યના પાર્ટીમાં સામેલ થવા સમયે સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં કોવિડ પ્રોટોકોલ તોડવામાં આવ્યો હતો. વાસ્તવમાં પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય, પૂર્વ મંત્રી ધરમ સિંહ સૈની, ધારાસભ્યો ભગવતી સાગર, વિનય શાક્ય, રોશન લાલ વર્મા, મુકેશ વર્મા અને બ્રજેશ પ્રજાપતિ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન એસપી ઓફિસમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube