નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી પાણીના પ્રચંડ પ્રહારથી લોકોના હાલ બેહાલ બની ગયા છે... પહાડો પર ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઈડના કારણે રોડ-રસ્તા બંધ છે... તો મેદાની પ્રદેશોમાં મેઘરાજા અનરાધાર રીતે વરસાદ વરસી રહ્યા છે... જેના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે... અતિ વરસાદ હવે લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે... ત્યારે કયા રાજ્યમાં કેવો છે કુદરતનો માર?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કુદરતના ક્રૂર મિજાજ જોવા મળી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા અને નદીઓ દરિયામાં ફેરવાઈ ગયા... જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનું સામ્રાજ્ય ઉભું કરી દીધું...


જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતાં નદીમાં ફ્લેશ ફ્લડ આવ્યું... જેના કારણે સાત લોકો પાણીમાં તણાઈ ગયા... જેમાં 2 લોકોનાં મૃતદેહ મળ્યા તો અન્ય પાંચ લોકોની તપાસ ચાલુ છે.... 


ઉત્તર પ્રદેશમાં રાપ્તી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે... જેના કારણે ગોરખપુરના 45 જેટલાં ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે... નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.... સ્થિતિ એવી સર્જાઈ છે કે ગામડાના રસ્તાઓ પર વાહનો નહીં પરંતુ હોડીઓ ફરતી જોવા મળી રહી છે.... 


આ દ્રશ્યો કુદરતના ક્રૂર મારના છે... જેના આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદથી શારદા સબસિડિયરી કેનાલ તૂટી ગઈ... જેના કારણે તેનું પાણી આજુબાજુ આવેલાં ગામડાઓમાં ઘૂસી ગયું.... 


પાણીનો આ ઘૂઘવાટ કોઈને પણ ડરાવી શકે છે... આ દ્રશ્યો મહારાષ્ટ્રના નાશિક શહેરના છે... અહીંયા ભારે વરસાદના કારણે ગોદાવરી નદી તોફાને ચઢી છે... જેના કારણે નદીકાંઠે આવેલા તમામ મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે... તો ત્યાં આવેલી તમામ દુકાનો પણ બીજે ખસેડવામાં આવી છે.... હાલ નદીમાં ધસમસતું પાણી વહી રહ્યું છે જે લોકોની મુશ્કેલી વધારી રહ્યું છે.... 


આ આકાશી દ્રશ્યો રાજસ્થાનના અજમેર શહેરના છે... જેમાં જ્યાં નજર જાય ત્યાં રસ્તા પર, સોસાયટીમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.... ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી હજુસુધી ઉતર્યા નથી... જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે... 


ભારે વરસાદના કારણે ગુજરાતની હાલત પણ બદથી બદતર બની ગઈ છે... અનેક જિલ્લાઓમાં મેઘતાંડવના કારણે તારાજી જ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે... મોટા-મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ પણ પાણીથી લબાલબ થઈ ગયા છે.... 


વડોદરામાં પણ 10 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો... જેના કારણે કાલા ઘોડા સર્કલ હોય કે ચેતક બ્રિજ.. પાદરા હોય કે ફતેપુરા... દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી... અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો...


આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સંત સરોવરમાં પાણીની ભારે આવક થઈ રહી છે... જેના કારણે સંત સરોવરના 5 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે... તો સાબરમતી નદીમાંથી પણ 19 દરવાજા ખોલીને પાણી છોડાયું છે... તેની વચ્ચે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં લોકોનો જીવ તાળવે ચોંટ્યો છે.