નવી દિલ્હીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે તેમના અંગે ચાલી રહેલી તમામ આશંકાઓને દૂર કરીને મંગળવારે સીએમ નિવાસસ્થાને કેબિનેટ મીટિંગમાં ભાગ લીધો હતો. પર્રિકર પેનક્રિયાટિક કેન્સરનો ભોગ બનેલા છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. 30 ઓક્ટોબરના રોજ લગભગ 15 દિવસ બાદ તેમનો પ્રથમ ફોટો જાહેર થયો છે, જેમાં તેઓ કેબિનેટ મીટિંગ લઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મીટિંગની અધ્યક્ષતા પણ તેમણે જ કરી હતી. ગોવા ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની આ મિટીંગમાં આઈટી મંત્રી રોહન ખુંટે, ટૂરિઝમ મંત્રી મનોહર અજગાંવકર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 


દિલ્હી ખાતે એઈમ્સમાં ઈલાજ કરાવ્યા બાદ ગોવા પાછા ફરેલા પર્રિકરના ઘરને નાની હોસ્પિટલમાં તબદલી કરી દેવાયું છે. તેમના ઘરે જ તમામ પ્રકારની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી. જોકે, તેઓ દિલ્હીથી પાછા ફર્યા ત્યાર બાદ તેમનો એક પણ ફોટો જાહેરમાં આવ્યો ન હતો. 


આ કારણે કોંગ્રેસ સતત માગ કરી રહી હતી કે તેમનો ફોટો જાહેર કરવામાં આવે. ભાજપે તમામ આશંકાઓને ફગાવી દીધી હતી. સોમવારે 29 ઓક્ટોબરના રોજ ભાજપ તરફથી આ કેબિનેટ મીટિંગ અંગે આધિકારીક જાહેરાત કરાઈ હતી. 



કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી હતી
આ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા જીતેન્દ્ર દેશમુખે જણાવ્યું હતું કે, "હા, અમે આ બાબતે સંજ્ઞાન લઈ રહ્યા છીએ. એક બાબત સ્પષ્ટ છે કે સન્માનનીય મુખ્યમંત્રી સંભવતઃ ત્યાં નથી." કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રીની આજુ-બાજુ ફરતા અધિકારીઓનું એક જૂથ તેમની ગેરહાજરીમાં ગેરકાયદે રીતે નિર્ણયો લઈ રહ્યું છે. 


ભાજપે કોંગ્રેસને આ નિવેદનને હતાશાનું પરિણામ જણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે રાજકીય વાટાઘાટોના સ્તરને નીચે પાડી દીધું છે. આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ 27 ઓક્ટોબરના રોજ પ્રથમ વખત આધિકારીક જાહેરાત કરી હતી કે પર્રિકર પેન્ક્રિયાટિક કેન્સરનો સામનો કરી રહ્યા છે. 


ત્યાર બાદ મુખ્યમંત્રી કચેરી દ્વારા એવું જાહેરાત કરાઈ હતી કે, પર્રિકર પોતાના અંગત નિવાસસ્થાને બુધવારે મંત્રિમંડળની એક બેઠક આયોજિત કરવાના છે. આ અગાઉ તેમણે મંગળવારે પણ એક મીટિંગ લીધી હતી.