નવી દિલ્હીઃ જીએસટી કાઉ્સિલની શનિવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠકમાં આમ આદમીને મોટી રાહત આપવામાં આવી છે. બેઠક બાદ પુડુચેરીને મુખ્યમંત્રી વી. નારાયણસામીએ જણાવ્યું કે, આમ આદમીના રોજિંદા ઉપયોગની 33 વસ્તુઓ પર GSTના દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા અને 5 ટકા કરી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નારાયણસામીએ જણાવ્યું કે, કોંગ્રેસે માગ કરી હતી કે લક્ઝરી ઉત્પાદનો સિવાય અન્ય તમામ પ્રોડક્ટ પર GSTનો દર ઘટાડીને 18 ટકા અને તેનાથી નીચે લઈ જવામાં આવે. સરકારે તેની સાથે સહમતી દર્શાવી છે. માત્ર 34 ઉત્પાદનો સિવાયના તમામને 18 ટકા કે તેના કરતાં ઓછા GST દરમાં મુકવામાં આવી છે. 


નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક 
હજુ સુધી કઈ પ્રોડક્ટ પર કેટલો GST ઘટાડાયો છે તે સ્પષ્ટ કરાયું નથી. GST કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી અરૂણ જેટલીએ કરી હતી. GST પરિષદ છેલ્લા કેટલાક સમયથી 28 ટકા સ્લેબમાં રહેલી ચીજવસ્તુઓને ઘટાડતી જઈ રહી છે. 


ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો. જેને હવે ઘટાડીને 34 કરી દેવાયો છે, એટલે કે 5 અન્ય ઉત્પાદનોને 28 ટકાના મહત્તમ GST દરથી બહાર રાખવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ છેલ્લા બે વર્ષ દરમિયાન GST કાઉન્સિલની 30 વખત બેઠક મળી છે, જેમાં 979 નિર્ણય લેવાયા છે. GSTમાં રાજ્યોનાં નાણા મંત્રી અને કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. 15 સપ્ટેમ્બર, 2016ના રોજ GST પરિષદની રચના કરાઈ હતી.