Pegasus: ફોન હેકિંગના `પેગાસસ પ્રોજેક્ટ` પર સરકારે આપ્યો આ જવાબ, જાણો શું કહ્યું?
કેન્દ્ર સરકારે ઈઝરાયેલી સોફ્ટવેર પેગાસસ (Pegasus) ની મદદથી પત્રકારો અને એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરાવવાની ખબરોને તથ્યોથી દૂર ગણાવતા ફગાવી છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈઝરાયેલી સોફ્ટવેર પેગાસસ (Pegasus) ની મદદથી પત્રકારો અને એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરાવવાની ખબરોને તથ્યોથી દૂર ગણાવતા ફગાવી છે. સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું કે આ રિપોર્ટ દેશની છબી ખરાબ કરવાના ઈરાદાથી તૈયાર થયો છે અને તેમાં કોઈ સચ્ચાઈ નથી.
પોતે જ બની ગયા તપાસકર્તા, અભિયોજક અને જજ
કેન્દ્રીય સૂચના-ઈલેક્ટ્રોનિક મંત્રાલયમાં અધિક સચિવ ડો. રાજેન્દ્રકુમારે કહ્યું કે 17 મીડિયા સંસ્થાનોના કંસોર્ટિમનો રિપોર્ટ તથ્યોને વેરિફાય કર્યા વગર એકતરફી રીતે બહાર પડાયો છે. રિપોર્ટ વાંચીને એવું જાણવા મળી રહ્યું છે કે એક સાથે તપાસકર્તા, અભિયોજક અને જજની ભૂમિકા ભજવવાની કોશિશ કરાઈ છે. ભારત એક લચીલું લોકતંત્ર છે અને તે પોતાના તમામ નાગરિકોની પ્રાઈવસીના અધિકારને મૌલિક અધિકાર તરીકે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
અધિક સચિવે કહ્યું કે ખબરોથી સ્પષ્ટ છે કે લખનારાએ કોઈ રિસર્ચ કર્યું નથી અને પૂર્વ અધારણાના આધારે એકતરફી વિશ્લેષણ સંભળાવી દીધુ. ભારત સરકાર આ રિપોર્ટને સંપૂર્ણ રીતે ફગાવે છે.
ઈન્ટરસેપ્શન માટે દેશમાં બન્યો છે કાયદો
તેમણે કહ્યું કે રિપોર્ટમાં પત્રકારો અને એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દેશમાં ફોન ઈન્ટરસેપ્ટ(Intercept) કરવા માટે કાયદો બન્યો છે. જે હેઠળ કેન્દ્રમાં ગૃહસચિવ અને રાજ્યોમાં સક્ષમ અધિકારીની મંજૂરી વગર કોઈ ઓફિસર પોતાની મરજીથી ફોન ઈન્ટરસેપ્ટ કરી શકે નહીં.
તેમણે કહ્યું કે કાયદા હેઠળ ફોન ઈન્ટરસેપ્ટિંગ (Intercept) ની મંજૂરી ફક્ત રાષ્ટ્રીય સુરક્ષાના મામલાઓમાં જ અપાય છે. આ પ્રકારની દરેક ઈન્ટરસેપ્ટિંગનો રેકોર્ડ મેન્ટેઈન કરાય છે અને તેની નિગરાણી થાય છે. તેમણે કહ્યું કે જે લોકોના નામ રિપોર્ટમાં અપાયા છે તેમનું સરકાર તરફથી કોઈ ઈન્ટરસેપ્ટિંગ થયું નથી.
પહેલા પણ અહેવાલો પાયાવિહોણા જણાયા હતા
ડો. રાજેન્દ્રકુમારે કહ્યું કે આ અગાઉ પણ આ પ્રકારના રિપોર્ટ્સ ફેલાવવામાં આવ્યા હતા કે સરકાર વોટ્સએપ દ્વારા લોકોની જાસૂસી કરાવે છે. બાદમાં આ અહેવાલ તથ્યવિહોણા જણાયા. વોટ્સએપે પોતે જ સુપ્રીમ કોર્ટમાં કબૂલ કર્યું કે આવી કોઈ જાસૂસી કરાવવામાં આવતી નથી.
તેમણે કહ્યું કે એવું લાગે છે કે વોટ્સએપવાળી ખબરની જેમ એકવાર ફરીથી ભારત અને ભારતીય લોકતંત્રને શર્મસાર કરવા માટે આ ફેક ખબર ફેલાવવામાં આવી છે. ભારત સરકાર આ ખબરને સંપૂર્ણ રીતે ફગાવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube