નવી દિલ્હીઃ વિપક્ષના ઈન્ડિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી મુદ્દે પડેલી તિરાડ હવે મોટી ખીણનું સ્વરૂપ લઈ રહી છે. બેઠકોની વહેંચણી મુદ્દે ફસાયેલો પેચ વધુ પેચિદો બન્યો છે. કેમ કે પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, તો પંજાબમાં આમ આદમી પાર્ટી એકલા જ લડશે. આ સાથે જ વિપક્ષના ગઠબંધનના અસ્તિત્વ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકોની વહેંચણીના મુદ્દે વિપક્ષના ગઠબંધનમાં મચેલી ખેંચતાણ વધુ તીવ્ર બની છે. પશ્વિમ બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મુલા નિષ્ફળ રહી છે. મમતા બેનર્જીએ હવે સ્પષ્ટતા કરી દીધી છે કે બંગાળમાં તેઓ એકલા હાથે ચૂંટણી લડશે..


છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને ટીએમસી બંગાળમાં એકબીજાના વિરોધીઓ બની ચૂક્યા હતા. ટીએમસી કોંગ્રેસને લોકસભાની ફક્ત બે બેઠકો આપવા તૈયાર હતી, જેની સામે કોંગ્રેસને વાંધો હતો. હવે મમતાએ સ્થિતિ સ્થિતિ સ્પષ્ટ કરી દેતાં એક વાત નક્કી છે કે બંગાળમાં ટીએમસી અને કોંગ્રેસ સામસામે ચૂંટણી લડશે. વિપક્ષના ગઠબંધન માટે આ મોટો ઝટકો છે.


કોંગ્રેસને આ ઝટકો એવા સમયે લાગ્યો છે, જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. તેઓ ભારત જોડવા નીકળ્યા છે, પણ ગઠબંધન નથી સચવાઈ રહ્યું. તેમ છતા કોંગ્રેસને વિશ્વાસ છે કે મમતા માની જશે અને ગઠબંધન સચવાઈ જશે.


આ પણ વાંચોઃ કર્પૂરી ઠાકુરને ભારતરત્નથી નીતીશકુમાર ખુશ, બિહારના મુખ્યમંત્રીએ આપ્યા બે મોટા સંકેત


ડાબેરીઓ પણ જ્યાં વિપક્ષના ગઠબંધનમાં સામે છે, ત્યારે સીપીઆઈ એમે મમતા બેનર્જી પર ભાજપ સાથે સાંઠગાંઠ કરવાનો આક્ષેપ કર્યો છે. સીપીઆઈ એમનું કહેવું છે કે મમતા આરએસએસના ઈશારે નિર્ણયો લઈ રહ્યા છે..


અગાઉ કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરી પણ મમતા બેનર્જીને ભાજપની બી ટીમ ગણાવી ચૂક્યા છે. તેમણે તો પહેલાથી જ એકલા લડવાની તૈયારી પણ દેખાડી હતી. 


મહત્વનું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્વિમ બંગાળમાં કોંગ્રેસને ફક્ત બે બેઠકો મળી હતી, ત્યારબાદ 2021ની વિધાનસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી ન શકી અને 44 બેઠકો પરથી શૂન્ય પર આવી ગઈ. ટીએમસીએ આ જ પરિણામોનો હવાલો આપીને વધુ બેઠકોની કોંગ્રેસની માગને ફગાવી દીધી હતી.


પશ્વિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ જ્યાં રાજકીય પરીદ્રશ્યમાંથી દૂર થઈ ચૂક્યા છે, ત્યાં તેમનું સ્થાન ભાજપે લીધું છે. 2019માં ભાજપે પશ્વિમ બંગાળમાં લોકસભાની 18 અને 2021માં વિધાનસભામાં 77 બેઠકો જીતીને ટીએમસીના વર્ચસ્વને પડકાર ફેંક્યો છે. આ વખતે પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે. 


આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ દિલ ખોલીને આપ્યું દાન, પ્રથમ દિવસે બન્યો રેકોર્ડ


એક તરફ જ્યાં બંગાળમાં મમતાએ એકલા ચાલોનો નિર્ણય લીધો છે, ત્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ પણ એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે. વિપક્ષના વિખરાવને જોતાં ભાજપને નિશાન સાધવાની મોટી તક મળી છે..


આ તો હજુ શરૂઆત છે, હજુ યુપી, બિહાર અને તમિલનાડુ જેવા મોટા રાજ્યો  બાકી છે, જ્યાં કોંગ્રેસ ચિત્રમાં પણ નથી, જો કોંગ્રેસ બેઠકોની વહેંચણીના મુદ્દે અહીં પણ અક્કડ વલણ જાળવી રાખશે તો તેણે અહીં પણ એકલા જ લડવું પડશે. અને ગઠબંધન ફક્ત નામપૂરતું રહી જશે.