નવી દિલ્હીઃ દુનિયાનો એકમાત્ર દેશ ચીન એવો છે જેમને પાકિસ્તાનને બાદ કરતા તમામ પાડોશી દેશો સાથે વિવાદ ચાલે છે.જી હાં, વિસ્તારવાદી ચીનની તમામ પાડોશી દેશો સાથે સરહદને લઈને વિવાદ હંમેશાથી રહે છે. 2020માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ જે ભૂલ કરી એનું પરિણામ તો ત્યારે જ તેમને મળી ગયું પરંતુ, એ ભૂલ સુધારવાનો પ્રયાસ ચીને 4 વર્ષ બાદ કર્યો છે. જી હાં, ભારતની આક્રમક કાર્યવાહીથી ચીન પૂર્વી લદ્દાખમાં 2020 પહેલાની સ્થિતિમાં જવા માટે તૈયાર થયું છે . એટલું જ નહીં ભારત સાથે તમામ વિવાદનો અંત આવ્યાનું પણ ખુદ ચીને જ સ્વીકાર્યું.. જુઓ આ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ તો રશિયાની ધરતી પર પ્રધાનમંત્રી મોદીનું વિમાન લેન્ડ જ થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યાં જ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચીન જિયાન દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું જેનાથી વર્ષો જૂના વિવાદનો અંત આવી ગયો.


એટલે કે, વર્ષ 2020થી પૂર્વી લદ્દાખમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ સંઘર્ષ હવે સમાપ્ત થયો છે. ચીન સાથે તમામ સંઘર્ષનો વાટાઘાટથી જ અંત આવી ગયો હોવાનું નિવેદન બે દિવસ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પણ કરવામાં આવ્યું હતું. ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ચીન સાથેના વિવાદનો હવે ટૂંક સમયમાં જ ઉકેલ આવી જશે.. 


છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સ્તરે અને સૈન્ય સ્તરે પણ વાતચીત થઈ રહી હતી. તેનું જ પરિણામ છે કે બંને દેશો એલએસી પર સૈનિકોના પેટ્રોલિંગને લઇને એક સમાધાન સુધી પહોંચી ગયા છે. આ સમાધાન પછી ભારત-ચીન સરહદેથી બંને દેશોના સૈનિકો પીછેહઠ કરશે અને એલએસી પર જે વિવાદ શરૂ થયો હતો તેનું સમાધાન મળી શકશે.


વિદેશ મંત્રાલય દ્વારા આ અધિકારીક જાણકારી આપ્યા બાદ વિદેશમંત્રી એસ. જયશંકરે પણ આ પ્રયાસની ખૂબ સરાહના કરી હતી. વિદેશમંત્રીએ કહ્યું કે, 2020થી આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી અને આ એક સારું પરિણામ છે. આ એક સકારાત્મક અને સારો ઘટનાક્રમ છે. આ ઘણી ધીરજ અને ખૂબ જ નિશ્ચિત મુત્સદ્દીગીરીનું પરિણામ છે. અમે સપ્ટેમ્બર, 2020 થી વાતચીત કરી રહ્યા છીએ. તે સમયે મોસ્કોમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા બાદ મને લાગ્યું કે અમે શાંતિ હાંસલ કરી શકીશું અને 2020 પહેલાની સ્થિતિમાં પાછા આવીશું. ભારત અને ચીન વચ્ચે જે કરાર કરવામાં આવ્યા છે તે અંતર્ગત પૂર્વી લદ્દાખમાં બંને સેના વચ્ચે ઘણાં પરિવર્તન પણ થશે.. 


હાલમાં સૈનિકોને ડેપસાંગ મેદાન ડેમચોકમાં પેટ્રોલિંગ પોઈન્ટ પર જવાની મંજૂરી નથી. અહીં હજુ પણ સેના તૈનાત કરવામાં આવી છે. બંને દેશ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર પેટ્રોલિંગ કરવા સંમત થયા છે. નવો કરાર આ મુદ્દાઓ સાથે સંબંધિત છે. આ સાથે 2020ના ગલવાન જેવી અથડામણને ટાળી શકાશે..


ભારતમાં ચીનની ચર્ચા થાય તો સ્વાભાવિક રીતે રાજનીતિ પણ હાવિ થઈ જાય છે. જેમાં એક તરફ વિપક્ષો હોય છે જ્યારે બીજી તરફ ભાજપ.. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ચીન સાથે થયેલા કરારને લઈને સવાલ ઉઠાવ્યા. ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ભાષામાં હજુ પણ ઘણા રહસ્યો છૂપાયેલા છે. જેના જવાબમાં ભાજપે વિપક્ષ પર પ્રહાર કર્યા.. 


15 જૂન 2020ના રોજ ચીને પૂર્વ લદ્દાખના સરહદી વિસ્તારોમાં કવાયતના બહાને સૈનિકો તહેનાત કર્યા હતા. આ પછી ઘણી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની હતી. ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીન જેટલી જ સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે LAC પર ગોળીઓ છોડવામાં આવી. આ દરમિયાન 15 જૂને ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. બાદમાં ભારતે પણ આનો જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં લગભગ 60 ચીની સૈનિકો માર્યા ગયા હતા.