દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધી સાથે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનો ફોટો લગાવવાની માંગણી કરી છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી અને કહ્યું કે પીએમ મોદીને પત્ર લખીને તેમણે ભારતીય કરન્સી પર મહાત્મા ગાંધીજીની સાથે સાથે લક્ષ્મી ગણેશજીની તસવીર  લગાવવાની માંગણી કરી છે. આ અગાઉ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને નોટ પર લક્ષ્મી ગણેશના ફોટાની માંગણી કરી હતી. 


ભગવાનના આશીર્વાદથી પ્રગતિ થશે
સીએમ અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે 'આદરણીય પ્રધાનમંત્રીજી, દેશના 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય કરન્સી પર એકબાજુ ગાંધીજીની અને બીજી બાજુ શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ. આજે દેશની અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારત વિકાસશીલ અને ગરીબ દેશોમાં ગણાય છે. આપણા દેશમાં આજે પણ આટલા લોકો ગરીબ છે, કેમ?' તેમણે વધુમાં કહ્યું કે 'એક બાજુ આપણે બધા દેશવાસીઓએ આકરી મહેનત કરવાની જરૂર છે તો બીજી બાજુ આપણને ભગવાનના આશીર્વાદ પણ જોઈએ જેથી કરીને પ્રયત્નો સફળ થાય. યોગ્ય નીતિ, આકરી મહેનત, અને પ્રભુના આશીર્વાદ તેમના સંગમથી જ દેશ પ્રગતિ કરશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube