નવી દિલ્હીઃ યુક્રેનમાં રશિયાના હુમલાનો આજે દસમો દિવસ છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને સતત સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ ચુકી છે. તો કેટલાક વિદ્યાર્થીઓ હજુ સુમી અને ખારકીવમાં ફસાયેલા છે. આ બધા વચ્ચે હવે સવાલ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ઉઠી રહ્યાં છે અને સરકારને આ મામલામાં પહેલ કરવાની માંગ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેડિકલ એસોસિએશને પીએમને લખ્યો પત્ર
યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. યુદ્ધને કારણે સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તેવામાં કોલેજ ખુલવાનું નક્કી નથી. ભારતમાં મેડિકલ સાથે જોડાયેલી સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી તેમના હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી છે. પત્રમાં આઈએમએ તરફથી સૂચન કરવામાં આવ્યું કે અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે નિયમોમાં ઢીલ આપી પરત આવી રહેલાં મેડિકલ વિદ્યાર્થીઓનું એડમિશન ભારતની મેડિકલ કોલેજોમાં કરાવવામાં આવે. તેમાં પ્રાથમિકતા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને આપી શકાય છે. 


પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં એડમિશન આપી શકાયઃ મેડિકલ સંસ્થા
મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થા માને છે કે પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં પ્રવેશ આપી શકાય છે. સરકારે એવો પણ સંકેત આપ્યો છે કે વિદ્યાર્થીઓ ભારતમાં જ તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી શકે છે. ગુરુવારે પીએમ મોદીએ વારાણસીમાં પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન ભારતની મેડિકલ કોલેજોમાં સીટો વધારવાની વાત કરી હતી.


આ પણ વાંચોઃ 93 ટકા ભારતીયો મૃત્યુનો શ્વાસ લઈ રહ્યા છે, વાયુ પ્રદૂષણે આયુષ્યમાં 1.5 વર્ષનો ઘટાડો કર્યો  


બજેટ સત્રના બીજા ભાગમાં ઉઠી શકે છે મુદ્દો
14 માર્ચથી શરૂ થનારા સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં પણ આ મુદ્દો ઉઠવાની સંભાવના છે. ઓડિસાના કંધમાલથી બીજેડી સાંસદ ડો. અચ્યુત સામંતાએ કહ્યુ કે, સરકારે રાષ્ટ્રીય મેડિકલ પંચ કાયદામાં ફેરફાર કરવો જોઈએ. તેમનું કહેવું છે કે કાયદામાં ફેરફાર કરી દેશની 605 મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાય છે. સામંતા પ્રમાણે 605 કોલેજોમાં 325 ખાનગી કોલેજ પણ છે. 


આશા કરવામાં આવી રહી છે કે જલદી સ્વાસ્થ્ય મંત્રાલય આ વિશે કોઈ કાર્યયોજનાને લઈને તૈયારી શરૂ કરી શકે છે. જો સરકાર કોઈ નિર્ણય કરે છે તો જુલાઈથી શરૂ થનારા આગામી સત્રમાં વિદ્યાર્થીઓને ભારતમાં એડમિશન મળી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube