નવી દિલ્હીઃ ભારત રત્ન ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી 93 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કરી ગયા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર, 1924ના રોજ જન્મેલા અટલ બિહારી વાજપેયીએ લાંબો સમય આ શહેરમાં પસાર કર્યો છે. તેમના પિતા પંડિત કૃષ્ણ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશના બટેશ્વરથી મધ્યપ્રદેશના ગ્વાલિયર રજવાડામાં શિક્ષક તરીકે નોકરી કરવા માટે અહીં આવ્યા હતા. માતા-પિતાના આઠમા સંતાન એવા અટલ બિહારી વાજપેયીના ત્રણ બહેન અને ત્રણ ભાઈ હતા. આજીવન કુંવારા રહેલા અટલજીએ એક દિકરીને દત્તક લીધી હતી. એક મોટા સંયુક્ત પરિવારમાંથી આવેલા અટલજીએ પોતાનું જીવન દેશ સેવાને સમર્પિત કરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા અટલજી 


મધ્યપ્રદેશના ગ્વાલિયરના શિંદેના બાડા મહોલ્લામાં 25 ડિસેમ્બર, 1924ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. તેમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી શિક્ષક હતા અને માતા કૃષ્ણા દેવી ઘરેલુ મહિલા હતાં. પિતા પંડિત કૃષ્ણ બિહારી વાજપેયી ઉત્તરપ્રદેશના બટેશ્વરથી મધ્યપ્રદેશના ગ્વાલિયર રજવાડામાં શિક્ષકની નોકરી મળ્યા બાદ અહીં સ્થળાંતરિત થયા હતા. 


 


મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો અટલજીનો જન્મ 


અટલજીના પરિવારમાં તેમના માતા-પિતા ઉપરાંત ત્રણ મોટાભાઈ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી વાજપેયી હતા. ત્રણ બહેનો હતી. તેમાં ભાણેજ કાંતિ મિશ્રા અને કરૂણા શુક્લા છે. જ્યારે ગ્વાલિયરમાં અટલજીના ભત્રીજા દીપક વાજપેયી અને ભાણેજ સાંસદ અનુપ મિશ્રા છે. 


 


ઉત્તર પ્રદેશના બટેશ્વરના રહેવાસી હતા તેમના પિતા 


આજીવન અપરિણીત રહેનારા અટલજીએ 1998માં તેમના મિત્ર રાજકુમારી કૌલની પુત્રી અને તેમની દત્તક પુત્રી નમ્રતા અને તેમના પતિ રંજન ભટ્ટાચાર્યનો પરિવાર પણ તેમની સાથે રહેવા આવી ગયો હતો. 


 


અટલજીના જન્મ પહેલાં જ તેમનો પરિવર મધ્યપ્રદેશ સ્થળાંતરિત થઈ ગયો હતો 


પ્રાપ્ત માહિતી મુજબ રાજકુમારી કૌલ અંગે કહેવાય છે કે અટલજી જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે કૌલ વાજપેયીનાં ઘરનાં સભ્ય હતાં. તેમનાં મૃત્યુ બાદ વાજપેયીજીના ઘરમાંથી જે પ્રેસ રિલીઝ કરાઈ હતી, તેમાં તેમને વાજપેયીનાં 'ઘરનાં સભ્ય' તરીકે સંબોધિત કરાયા હતા. 


 


અટલ બિહારી વાજપેયી 1998થી 2004 સુધી દેશનાં વડા પ્રધાન હતા 


અટલ બિહારી વાજપેયનો બાળપણથી માંડીને યુવાની સુધીનો સમય આ શહેરની ગલીઓમાં જ પસાર થયો છે. વાંચવા-લખવાના શોખીન અટલ બિહારી વાજપેયી બાળપણથી જ કવિ સમ્મેલનમાં જઈને કવિતાઓ સાંભળવા અને નેતાઓનાં ભાષણ સાંભળવામાં રસ ધરાવતા હતા. 


 


અટલજીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રથમ ભાષણ હિન્દીમાં આપ્યું હતું 


1977માં જનતા સરકારમાં વિદેશમંત્રી તરીકે કામ કરતા હતા ત્યારે અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાનું પ્રથમ ભાષણ હિન્દીમાં આપીને લોકોનાં દિલ જીતી લીધા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં અટલ બિહારી વાજપેયીએ હિન્દીમાં આપેલું ભાષણ એ સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પ્રથમ ઘટના હતી જ્યારે યુએન જેવા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર કોઈ ભારતીય નેતાએ હિન્દીમાં પોતાની વાત રજૂ કરી હોય. 


 


સંયુક્ત રાષ્ટ્ર સભાનાં પ્રતિનિધિઓએ અટલજીના ભાષણ બાદ ઊભા થઈ તાળીઓ વગાડી હતી


અટલ બિહારી વાજપેયીનું આ ભાષણ યુએનમાં આવેલા તમામ પ્રતિનિધિઓને એટલું ગમી ગયું કે તેમણે ઊભા થઈને અટલજી માટે તાળીઓ વગાડી હતી. અટલજી એક સર્વશ્રેષ્ઠ નેતા હોવાની સાથે જ લેખનના પણ જાદુગર હતા. 


 


કોલેજ કાળથી જ તેમણે ચર્ચા સત્રોમાં ભાગ લેવા સાથે ભાષણો આપવાનું શરૂ કર્યું હતું


ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ જેને હવે મહારાણી લક્ષ્મીબાઈના નામથી ઓળખવામાં આવે છે, અટલજીએ અભ્યાસ કર્યો હતો. અહીંથી બીએ કરવાની સાથે જ અટલજીએ વાદ-વિવાદ સ્પર્ધાઓમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું હતું. કોલેજમાં તેમનાં ભાષણોએ તેમને હીરો બનાવી દીધા અને ત્યાર બાદ તેઓ સમગ્ર દેશમાં એક હીરો તરીકે ઓળખાવા લાગ્યા હતા. 


 


ભારત છોડો આંદોલમાં 23 દિવસ માટે જેલવાસ પણ ભોગવ્યો 


માત્ર એક રાજનેતા જ નહીં, પરંતુ અટલ બિહારી વાજપેયીએ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અભ્યાસ અધુરો મુકીને સંપૂર્ણપણે રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. વર્ષ 1942ના "ભારત છોડો આંદોલન"માં તેઓ 23 દિવસ માટે જેલ પણ ગયા હતા. 


 


પોખરણ પરીક્ષણ કરાવીને ભારતને બનાવ્યો પરમાણુ શક્તિ સંપન્ન દેશ 


અટલ બિહારી વાજપેયી 1951થી ભારતીય રાજકારણમાં સક્રિય રીતે જોડાઈ ગયા હતા. 1955માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડનારા અટલ બિહારી વાજપેયી આ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ 1957માં તેઓ સાંસદ બન્યા. અટલ બિહારી વાજપેયી કુલ 10 વખત લોકસભાના સાંસદ રહ્યા અને આ દરમિયાન તેઓ 1962થી 1986માં રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા.