નવી દિલ્હીઃ શનિવારે વિજ્ઞાન ભવનમાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં આમ આદમી સંબંધિત અનેક ચીજવસ્તુઓના સ્લેબમાં ફેરફાર કરાયો છે. પરિષદની બેઠક બાદ નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, આજની બેઠકમાં કુલ 33 ચીજવસ્તુઓના GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યું કે, 7 વસ્તુઓને 28 ટાકાના સ્લેબમાંથી 18 ટકાના સ્લેબમાં લઈ જવામાં આવી છે. અન્ય ચીજ-વસ્તુઓનો GST દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવાયો છે. આજની બેઠકમાં ટીવી, કમ્પ્યૂટર મોનિટર, પાવર બેન્ક્સ, સિનેમા ટિકિટ જેવી આમ આદમીને લગતી ચીજ-વસ્તુઓના GST દરમાં ઘટાડો કરાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રી અરૂણ જેટલીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે, આ ઘટાડો કરવાથી સરકારની મહેસુલી આવકમાં જરૂર ઘટાડો થશે, પરંતુ તેના આમ આદમીને રાહત પહોંચાડવાનો સરકારનો ઈરાદો છે. હવે, 28 ટકાના GST સ્લેબમાં માત્ર 34 ચીજ-વસ્તુઓ જ બચી છે, જે તમામ લક્ઝરી આઈટમ્સ છે. સિમેન્ટ અને ઓટો પાર્ટ્સના GST દર અંગે આજની બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી. તેના દર અંગે આગામી બેઠકમાં નિર્ણય લેવાશે. ઘટાડવામાં આવેલા નવા દર 1 જાન્યુઆરી, 2019થી લાગુ થશે. 



જાણો કઈ-કઈ ચીજ-વસ્તુઓ પરનો GST દર ઘટાડવામાં આવ્યો 


  • મોનિટર્સ, ટીવી, ટાયર્સ, પાવર બેન્ક્સ, લિથિયમ-આયન બેટરીઃ 28 ટકાથી 18 ટકાના સ્લેબમાં 

  • દિવ્યાંગ લોકો માટે ઉપયોગમાં લેવાતી એસેસરીઝઃ 5 ટકાના સ્લેબમાં

  • સિનેમા ટિકિટઃ રૂ.100થી નીચેની ટિકિટ 12 ટકાના સ્લેબમાં અને રૂ.100થી ઉપરની ટિકિટ 28 ટકાથી 18 ટકાના સ્લેબમાં 

  • ધાર્મિક યાત્રા પર જતા વિમાનોની ટિકિટ પરનો જીએસટી દર ઘટાડાયો

  • 32 ઈંચના ટીવી થશે સસ્તા 

  • કુલ 33 વસ્તુઓને 18 ટકાથી ઘટાડીને 12 ટકા અને 5 ટકાના સ્લેબમાં લઈ જવામાં આવી 


સેવાઓના GST દરમાં થયો ઘટાડો
જન-ધન ખાતા ધારકોને બેન્ક દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેમને હવે GST દરમાંથી બાકાત કરવામાં આવી છે. 



સિમેન્ટ અને ઓટોમોબાઈલ પાર્ટ્સનો દર યથાવત (28 ટકા)
નાણામંત્રીએ જણાવ્યું કે, જો લક્ઝરી અને અન્ય ચીજવસ્તુઓને ગણવામાં આવે તો હવે 28 ટકાના જીએસટી સ્લેબમાં 28 ચીજવસ્તુઓ રહી છે. જેમાં 13 વસ્તુઓ ઓટોમોબાઈલ પાર્ટ્સની છે અને એક સિમેન્ટ છે. જેટલીએ જણાવ્યું કે, સિમેન્ટની મહેસુલી આવક રૂ.13,000 કરોડ છે અને ઓટોમોબાઈલ પાર્ટ્સમાંથી સરકારને રૂ.20,000 કરોડની આવક થાય છે. જો તેમને 28 ટકાથી 18 ટકાના સ્લેબમાં લઈ જવામાં આવે તો સરકારને રૂ.33,000 કરોડની આવકને નુકસાન પહોંચે એમ છે. 


અરૂણ જેટલીએ જણાવ્યું કે, રીયલ એસ્ટેટને સંલગ્ન ચીજ-વસ્તુઓના GST દરમાં હવે GST કાઉન્સિલની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ છેલ્લા બે વર્ષ દરમિયાન GST કાઉન્સિલની 30 વખત બેઠક મળી છે, જેમાં 979 નિર્ણય લેવાયા છે. GSTમાં રાજ્યોનાં નાણા મંત્રી અને કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. 15 સપ્ટેમ્બર, 2016ના રોજ GST પરિષદની રચના કરાઈ હતી.