નવી દિલ્હી :  ઉન્નાવ રેપ કેસની ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ કેસ સંબંધિત તમામ પાંચ મામલા યુપીથી દિલ્હી ટ્રાન્સફર કરવાના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં એક વિશેષ જજ રોજ મામલાની સુનાવણી કરશે. આ સાથે મામલાની ટ્રાયલ 45 દિવસમાં પુરી કરશે. સુપ્રીમ કોર્ટે રોડ દુર્ઘટનાની તપાસ 7 દિવસમાં પુરી કરવાનો તેમજ યુપી સરકારને પીડિયાને 25 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને લખનૌની કેજીયુએમ હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં આવી છે કે પીડિતાને બહેતર ઇલાજ માટે એરલિફ્ટ કરાવી શકાય છે. સીબીઆઇએ કોર્ટને માહિતી આપી છે કે જો પીડિતાનો પરિવાર ઇચ્છે તો પીડિતાને તેમજ તેના વકીલને એર લિફ્ટ કરાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો પીડિતાનો પરિવાર ઇચ્છે તો કોર્ટ એર લિફ્ટનો આદેશ આપી શકે છે. 


કોર્ટે ઉન્નાવ કેસમાં તપાસના સ્ટેટસ રિપોર્ટ અને એક્સિડન્ટ કેસમાં અત્યાર સુધી થયેલા સીબીઆઈ તપાસ રિપોર્ટને 12 વાગ્યા સુધીમાં આપવા જણાવ્યું હતું. આ સંજોગોમાં સીબીઆઈની જોઇન્ટ કમિશનર સંપત મીણા સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. આ કેસની ફરીવાર સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આદેશ આપ્યો છે કે એજન્સી ઉન્નાવ રેપ પીડિતા તેમજ અન્યના રોડ એક્સિડન્ટ મામલામાં સાત દિવસની અંદર સંપૂર્ણ તપાસ આટોપી લે. આ મામલામાં સોલિસીટર જનરલે 30 દિવસનો સમય માગ્યો હતો પણ સીજીઆઇએ માત્ર સાત દિવસનો સમય જ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને જણાવ્યું છે જો એજન્સી રિપોર્ટ સાર્વજનિક ન કરવામાં ઇચ્છે તો બંધ રૂમમાં પણ સુનાવણી થઈ શકે છે. 


નોંધનીય છે કે બે અઠવાડિયા પહેલાં ઉન્નાવ રેપ પીડિતા તરફથી સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવેલી ચિઠ્ઠી મામલે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સીજેઆઇ રંજન ગોગોઈએ આ પત્ર વિશે તેમને માહિતી ન આપવા બદલ બુધવારે પોતાના સેક્રેટરી જનરલ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. સીજીઆઇને લખેલા આ પત્રમાં પીડિતાએ ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરથી જીવનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. રવિવારે રેપ પીડિતાની કારને ટ્રકે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં પીડિતાની માસી અને કાકીનું અવસાન થયું હતું અને પીડિતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સીબીઆઇએ આ મામલામાં કેસ દાખલ કર્યો છે. 
(ઇનપુટ સુમિતકુમાર પાસેથી)


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...