Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના 5 તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ અને સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન એક જૂનના રોજ થશે. ચૂંટણીના પરિણામો 4થી જૂનના રોજ આવશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર એનડીએ સત્તા પર આવે તેવો દાવો કરી રહી છે. જ્યારે વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન  તરફથી પણ આ વખતે સરકાર બનાવવાના દાવા થઈ રહ્યા છે. પીએમ મોદી સહિત ભાજપને આ વખતે 400 સીટ મેળવવાનો ભરોસો છે. આ બધા વચ્ચે ચૂંટણીના રણનીતિકાર અને ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરનું પણ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. NDTV સાથે ખાસ વાતચીતમાં પ્રશાંત કિશોરે ભાજપને કેટલી સીટો મળશે તે વિશે અનુમાન વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોની સરકાર બનશે?
રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે મોદી સરકાર કેન્દ્રમાં સત્તામાં વાપસી કરશે. તેમના જણાવ્યા મુજબ દેશમાં મોદી વિરોધી લહેર જોવા મળી રહી નથી. મોદીના નામ પર ભાજપ આ ચૂંટણી જીતવા જઈ રહી છે. 


ભાજપને કેટલી બેઠકો મળશે
પ્રશાંત કિશોરે દાવો કરતા કહ્યું કે 400 પાર અને 370ના નારો ભાજપની માત્ર ચૂંટણી ગેમ છે. વિપક્ષ તેને સમજી શક્યો નહીં અને તેમાં ખરાબ રીતે ગૂંચવાઈને રહી ગયો. તેમનું કહેવું છે કે એનડીએ વર્ષ 2019ની જેમ 303ના સ્કોર પર કે પછી તેનાથી પણ સારા નંબરે પાસ થશે. 


ઉત્તરમાં ભાજપને નુકસાન થઈ રહ્યું છે?
પીકેના મત મુજબ ઉત્તર અને પશ્ચિમમાં લગભગ 325 બેઠકો છે. આ વિસ્તાર 2014થી ભાજપનો ગઢ રહ્યો છે. હાલની લોકસભા ચૂંટણીમાં પણ પશ્ચિમ અને ઉત્તરમાં ભાજપને કોઈ ખાસ નુકસાન થતું જોવા મળી રહ્યું નથી. 


પૂર્વ-દક્ષિણમાં ભાજપ ચોંકાવશે?
પીકેનું કહેવું છે કે પૂર્વ અને દક્ષિણમાં જ્યાં લગભગ 225 બેઠકો છે, હાલમાં ભાજપ પાસે આ રાજ્યોમાંથી લગભગ 50થી ઓછી સીટો છે. પહેલા ભલે ભાજપનું પ્રદર્શન આ રાજ્યોમાં સારું ન રહ્યું હોય, પરંતુ આ ચૂંટણીમાં ઓડિશા, તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, અસમ, બંગાળ, તમિલનાડુ, કેરળ જેવા દક્ષિણ પૂર્વી રાજ્યોમાં ભાજપની સીટો ઘટવાની જગ્યાએ વધશે.  અહીં પાર્ટીને કુલ સીટોમાં 15-20 સીટોનો ફાયદો થતો દેખાય છે. 


પ્રશાંત કિશોરનું કહેવું છે કે આપણે પાયાની વાતો પર ધ્યાન આપવું જોઈએ. જો હાલની સરકાર અને તેના નેતાઓ વિરુદ્ધ ગુસ્સો હોય, તો સંભાવના છે કે ભલે કોઈ પણ વિકલ્પ હોય, લોકો તેમને મત આપવાનો નિર્ણય લઈ શકે છે. જો કે અત્યાર સુધી અમે એવું કશું સાંભળ્યું નથી કે મોદીજી વિરુદ્ધ કોઈ વ્યાપક જનાક્રોશ છે. નિરાશા, અધૂરી આકાંક્ષાઓ હોઈ શકે છે, પરંતુ અમે વ્યાપક આક્રોશ વિશે સાંભળ્યું નથી. 


અત્રે જણાવવાનું કે પ્રશાંત કિશોરની આ ભવિષ્યવાણી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંગળવારના એ નિવેદન બાદ તરત આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના દરેક તબક્કો બાદ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીની સરકાર જઈ રહી છે અને 4 જૂને ઈન્ડિયા ગઠબંધન આવી રહ્યું છે. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ઈન્ડિયા બ્લોક દેશને એક સ્થિર સરકાર આપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube