Lok Sabha Election Results: લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ અને 4 જૂનના રોજ તેના પરિણામ પણ આવી ગયા. આ વખતના પરિણામો ભાજપ માટે આશ્ચર્યનજક રહ્યા કારણ કે 2014 અને 2019માં પોતાના દમ પર સત્તા બનાવનાર ભાજપને આ વખતે 240 સીટ જ મળી અને સાથી પક્ષોના સહારે સરકાર બનાવવાનો વારો આવ્યો છે. એટલે કે બહુમત એનડીએને મળ્યું છે, ભાજપને નહીં. ભાજપ બહુમતથી 32 સીટ દૂર રહી ગયું. જો કે એનડીએ 292 સીટ મેળવીને સરકાર બનાવવાની સ્થિતિમાં આવી ગયું છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ શુક્રવારે 7 જૂનના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળીને સરકાર બનાવવા માટે ઔપચારિક દાવો રજૂ કરશે. તે પહેલા ભાજપ સંસદીય દળ અને એનડીએના તમામ સાંસદોની એક બેઠક થશે. હવે આ સરકારમાં જોવાનું એ રહેશે કે કોણ શું મેળવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂકી છે શરતો!
એનડીએના બે પ્રમુખ ઘટક પક્ષો નીતિશકુમારની જેડીયુ અને એન ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીએ સમર્થન બદલ કેટલીક શરતો મૂકી હોવાનું સામે આવ્યું છે. નીતિશકુમારની પાર્ટીએ રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય, કૃષિ મંત્રાલય માંગ્યા હોવાની વાત સામે આવી છે. જ્યારે ટીડીપી લોકસભા સ્પીકર સાથે 2 કેબિનેટ મંત્રાલયની માંગણી કરે છે. આ ઉપરાંત અન્ય માંગણીઓ સામેલ છે. નરેન્દ્ર મોદીએ રાજનાથ સિંહ, અમિત શાહ અને ભાજપના ચીફ જેપી નડ્ડાને એનડીએના સહયોગીઓ સાથે વાત કરીને સરકાર બનાવવા માટે અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી સોંપેલી છે. 


રિપોર્ટ્સ મુજબ પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિ પહેલા 8 તારીખે થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી પરંતુ હવે શપથ વિધિ 9 જૂને થઈ શકે છે. શપથગ્રહણ માટે પાડોશી દેશોને પણ આમંત્રણ અપાયું છે. નેપાળ અને બાંગ્લાદેશના પીએમે આવવાની પુષ્ટિ કરી છે. 



ભાજપ પોતાની પાસે રાખશે આ 4 મંત્રાલય!
મોદી સરકાર 3.0ની રૂપરેખા કઈક એવી હશે. જેને લઈને હવે વાતો આવવા લાગી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભાજપ સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) સંલગ્ન મંત્રાલય પોતાની પાસે રાખશે. CCS માં પ્રધાનમંત્રી ઉપરાંત રક્ષામંત્રી, ગૃહમંત્રી, વિદેશમંત્રી અને નાણામંત્રી સામેલ હોય છે. 


બીજી બાજુ એલજેપી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને પોતાની પાર્ટીના એનડીએ સરકારમાં 2-3 મંત્રીપદ માંગવાની ચર્ચાઓને ફગાવી છે. પાસવાને કહ્યું કે હું આ વાતોને ફગાવું છું. આવી કોઈ માંગણી મે કરી નથી. કોઈ માંગણી હોઈ પણ ન શકે કારણ કે અમારો લક્ષ્ય પીએમ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનો હતો. તમામ સહયોગીઓએ ઈમાનદારીથી એ દિશામાં કામ કર્યું. આ વિશેષાધિકાર (કેબિનેટ બર્થ આપવો) એ પ્રધાનમંત્રી પાસે છે. તો કોઈ સહયોગી પક્ષની કોઈ ડિમાન્ડ નથી. 


તેમણે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. કાલે એનડીએના નેતાઓની બેઠક હતી. પીએમ મોદીના કારણે જ એનડીએને પ્રચંડ બહુમત મળ્યો છે. એનડીએના ઘટક પક્ષોએ પીએમ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું છે.