લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે જીત મેળવી હતી અને યોગી આદિત્યનાથે રાજ્યના મુખ્યમંત્રીની કમાન સંભાળી લીધી હતી. આ ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. હવે ભાજપની મોટી જીત બાદ માયાવતીએ મોટો આરોપ લગાવ્યો છે. બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે, આરએસએસે અમારા લોકો વચ્ચે પ્રચાર કરાવ્યો હતો કે બીએસપીની સરકાર ન બનવા પર બહેનજીને રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવશે, તેથી તમારે ભાજપને સત્તામાં આવવા દેવું જોઈએ. માયાવતીના નિવેદન પ્રમાણે દેશના રાષ્ટ્રપતિ બનવું તો ખુબ દૂરની વાત છે પરંતુ આ વિશે હું ક્યારેય સપનામાં પણ ન વિચારી શકું. પરંતુ તેમને ખ્યાલ છે કે ઘણા સમય પહેલાં કાંશીરામ જીએ તેમનો આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને હું તો તેમના પદચિન્હો પર ચાલનારી મજબૂત શિષ્યા છું. માયાવતીનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ચર્ચા થઈ રહી છે. 


પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ આ વર્ષે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પસંદ કરાયેલા વ્યક્તિને બહુમત મળશે, પરંતુ હાલમાં યુપી, ઉત્તરાખંડ અને બાકી રાજ્યોની ચૂંટણીથી સમીકરણો થોડા બદલાયા છે. ત્યારબાદ ભાજપે પોતાના પસંદના રાષ્ટ્રપતિ ચૂંટવા માટે બહારના પક્ષોનો સહારો લેવો પડી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube