મુંબઈ: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. શિવવસેનાએ આક્રમક તેવર અપનાવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેખાવો થઈ રહ્યા છે. શિવસેના કાર્યકરોએ નાસિકમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ મચાવી છે. આ સાથે જ નાસિકમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ પણ દાખલ કરાયો છે. નાસિક પોલીસે ધરપકડના આદેશ પણ આપ્યા છે અને  તેમના વિરુદ્ધ વોરન્ટ પણ ઈશ્યું થયું છે. કહેવાય છે કે નાસિક પોલીસ નારાયણ રાણેની ધરપકડ માટે નીકળી ગઈ છે. મુંબઈમાં પણ શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાણેની ધરપકડની માગણી કરી રહ્યા છે. 


એક નિવેદન પર બબાલ
વાત જાણે એમ છે કે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તેઓ ત્યાં હોત તો તેમને (સીએમ) એક જોરદાર થપ્પડ મારત. કારણ કે મુખ્યમંત્રી 15 ઓગસ્ટના રોજ નાગરિકો માટે પોતાના સંબોધન દરમિયાન સ્વતંત્રતાના વર્ષને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું હતું કે 'આ શરમજનક છે કે મુખ્યમંત્રીને સ્વતંત્રતાના વર્ષની ખબર નથી. તેઓ પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતાના વર્ષોની ગણતરી અંગે પૂછવા માટે પાછળ ઝૂકી ગયા. જો હું ત્યાં હોત તો હું તેમને એક જોરદાર 'થપ્પડ' મારત.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube