નવી દિલ્હીઃ ઇન્ટેલિજન્સ રિપોર્ટે સરકારને મોકલેલા એક રિપોર્ટમાં કહ્યું કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ ભારતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે આઈએસઆઈ જૈશ-એ-મોહમ્મદને ફંડથી લઈને ટ્રેનિંગ અને હથિયારોની સપ્લાઇ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે આઈએસઆઈએ પાક હસ્તગત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની ટ્રેનિંગ માટે નવા આતંકી કેમ્પ બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈએસઆઈ જૈશ-એ-મોહમ્મદને ભારતમાં મોટો આતંકી હુમલો કરવા માટે મદદ કરવામાં લાગ્યું છે. લશ્કર-એ-તોઇબા અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકી ગ્રુપની જગ્યાએ જૈશ-એ-મોહમ્મદ પર વધુ વિશ્વાસ કરી રહ્યું છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી ન્યૂઝને જણાવ્યું કે, કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદે ટેલીગ્રામ પર અનસાર-એ-જૈશ નામથી ગ્રુપ બનાવ્યું છે. જેની મદદથી જૈશ ચીફ મૌલાના મસૂદ અજહર ભારત વિરુદ્ધ કાશ્મીરી યુવકોને ભટકાવવાનો પ્રયત્નમાં લાગ્યો છે. 


ગુપ્ત એજન્સી પ્રમાણે જૈશ-એ-મોહમ્મદ આવા એક ગ્રુપમાં દાવો કર્યો છે કે તેના આતંકીઓ લખનઉ,દિલ્હી અને મુંબઈમાં હાજર છે. સુરક્ષા એજન્સીઓ પ્રમાણે લાઇન ઓફ કંટ્રોલના માર્ગે જૈશના કેટલાક આતંકીઓ કાશ્મીરમાં દાખલ થયાની આશંકા છે. જૈશે છેલ્લા થોડા મહિનાથી કેટલાક લોકલ આતંકીઓની ભરતી કરી છે. આ આતંકીઓ સુરક્ષાદળો પર આત્મઘાતી હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે. 


ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત વિરુદ્ધ જેહાદ ફેલાવવા માટે જૈશ-એ-મોહમ્મદ છેલ્લા મહિનાઓથી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. છેલ્લા કેટલાક મહિનામાં જૈશે કાશ્મીરમાં 500થી વધુ ઓડિયો અને વીડિઓ વોટ્સએપ કે ટેલીગ્રામની મદદથી મોકલ્યા છે. જેમાં ભારતીય સુરક્ષા જવાનો વિરુદ્ધ મૌલાના મસૂદ અજહર ઝેર ઓકી રહ્યો છે.