ઓમિક્રોનના ખતરા વચ્ચે મુંબઈમાં 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, સામે આવ્યું કતાર કનેક્શન

Omicron in India: અધિકારીએ જાણકારી આપી કે તેમાંથી એક વિદ્યાર્થીના પિતા નવ ડિસેમ્બરે કતારથી પરત ફર્યા હતા. તેઓ ઘનસોલીના ગોથીવલીમાં પરિવાર સાથે રહે છે.
મુંબઈઃ Omicron in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) ના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) નો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે નવી મુંબઈના ઘનસોલીની એક સ્કૂલમાં 18 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેને સ્થાનીક કોવિડ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી મુંબઈ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 8થી 11ના છે.
એક વિદ્યાર્થીના પિતા 9 ડિસેમ્બરે કતરથી આવ્યા હતા
અધિકારીએ જણાવ્યું કે, તેમાંથી એક વિદ્યાર્થીના પિતા નવ ડિસેમ્બરે કતારથી આવ્યા હતા. તેઓ ઘનસોલીના ગોથીવલીમાં પરિવાર સાથે રહે છે અને તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ જ્યારે તેમના પરિવારજનોની તપાસ કરવામાં આવી તો સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરનાર તેમનો પુત્ર સંક્રમિત મળ્યો હતો.
આ પણ વાંચોઃ કિસાન આંદોલનનું રાજકીય પરિણામ, ગુરનામ સિંહ ચઢૂનીએ બનાવી પાર્ટી, લડશે પંજાબની ચૂંટણી
છેલ્લા ત્રણ દિવસમાં 811 વિદ્યાર્થીના ટેસ્ટ થયા
અધિકારીએ જણાવ્યું કે, ત્યારબાદ શેતકરી શિક્ષણ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી અને અત્યાર સુધી 18 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. તેમણે કહ્યું- છેલ્લા ત્રણ દિવસમાં શાળાના 811 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી અને હજુ 600 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવશે. પોઝિટિવ વિદ્યાર્થીઓ કોવિડ કેન્દ્રમાં છે.
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 113 કેસ
મહત્વનું છે કે આજે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઓમિક્રોનથી સંક્રમિત બે દર્દીઓની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 113 થઈ ગઈ છે. ગાઝિયાબાદમાં વૃદ્ધ દંપત્તિમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. ત્રણ ડિસેમ્બરે મુંબઈથી જયપુર થતાં આ દંપત્તિ કારથી ગાઝિયાબાદ પહોંચ્યુ હતું. ઉધરસની ફરિયાદ બાદ તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં કોવિડની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તેમના જીનોમ રિપોર્ટમાં ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે. હાલ બંને સ્વસ્થ છે. તેમના સંપર્કમાં આવનાર ત્રણ ડઝનથી વધુ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના સંક્રમણની ગતિ ડેલ્ટાની તુલનામાં અનેક ગણી વધારે છે. દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકારો પણ કડક નિર્ણયો લઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube